આઝાદીના અમૃતકાળમાં આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ:  લીમખેડાના પાણીયા ગામમાં રસ્તાના અભાવે કોતરના પાણીમાંથી પસાર થઈ વિદ્યાર્થીઓ સ્કૂલે જવા મજબુર, 

Editor Dahod Live
3 Min Read

ગૌરવ પટેલ :- લીમખેડા / રાજેશ વસાવે :- દાહોદ 

આઝાદીના અમૃતકાળમાં આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: 

લીમખેડાના પાણીયા ગામમાં રસ્તાના અભાવે કોતરના પાણીમાંથી પસાર થઈ વિદ્યાર્થીઓ સ્કૂલે જવા મજબુર, 

અનેકવાર રજૂઆત છતાં પરિણામ શુન્ય..

દાહોદ તા. 02

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામના વકીલ ફળીયાના લોકો રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી આજે પણ વંચિત છે. વકીલ ફળિયાના લોકો અને વિદ્યાર્થીઓ રસ્તાના અભાવે કોતરના પાણીમાંથી પસાર થઈ સ્કૂલે જવા મજબુર બન્યા છે.

લીમખેડા તાલુકાના પાણીયા ગામના લોકો સુધી રોડ, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ મળી નથી, પાણીયા ગામના વકીલ ફળીયાથી પ્રતાપપુરા સીમાડા ફળીયા સુધીનો રોડ આજ દિન સુધી નહીં બનતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઈમરજન્સી પરિસ્થિતિમા સરકારની 108 એમ્બ્યુલન્સ પણ ઘર સુધી પહોંચી શકતી નથી. પાણીયા ગામના વકીલ ફળીયા તરફ જવાના રસ્તામા વચ્ચે કોતર આવતુ હોવાથી ચોમાસામા કોતરમાં વધુ પાણી વહેતુ હોય ત્યારે અવર જવર પણ બંધ થઈ જાય છે. પાણીયા ગામના વકીલ ફળિયામા 200 થી વધુ લોકો વસવાટ કરે છે. આ ફળીયાના લોકોને અવર જવર કરવા માટે આ રસ્તા સિવાય અન્ય કોઈ બીજો રસ્તો નથી.

*વરસાદની સીઝનમાં બાળકો શાળાએ નથી જઈ શકતા.*

શાળાએ પાણીયા ગામના વકીલ ફળિયાના વિદ્યાર્થીઓ ગામથી એક કિલોમીટર દૂર પ્રતાપપુરા રેલ ફળીયા વર્ગ પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે જાય છે. ત્યારે આ બાળકોને શાળાએ જવા માટે આ જ કોતર વાળા રસ્તેથી શાળાએ જવુ પડે, ચોમાસામા ભારે વરસાદ હોય અને કોતરમા વધુ પાણી હોય તો વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થાય છે.

*વહીવટીતંત્રને અનેક રજૂઆત છતા પરિણામ શુન્ય..*

 પાણીયા ગામના વકીલ ફળિયાના લોકોએ કોતર ઉપર નાળુ તેમજ વકીલ ફળિયાથી પ્રતાપપુરા ગામના સીમાડા સુધી રસ્તો બનાવવા માટે ગ્રામ પંચાયત થી લઈને સરકારના વહીવટી તંત્રના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી ગ્રામજનોની રજૂઆતને પગલે નાળુ કે રસ્તો બનાવવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી.

*સત્વરે કોતર પર નાળુ અને રસ્તો બનાવવાની ગ્રામજનોની માંગ.*

પાણીયા ગામના વકીલ ફળિયાના લોકોને અવર-જવર કરવા માટે આ કોતરમાંથી પસાર થવું પડે છે ત્યારે ગ્રામજનોને આ કોતર પડી જવાથી અનેકવાર નાની મોટી ઇજાઓ થઈ છે, ગામમાં ઈમરજન્સી સેવા માટે પણ 108 એમ્બ્યુલન્સ આવી શકતી નથી ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે, આ કોતર પર નાળુ બનાવીને પ્રતાપપુરા સીમાડા ફળીયા સુધી રસ્તો બનાવી આપવામા આવે.

Share This Article