
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજકોટ લોકસભા બેઠકની પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રજપૂત સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે નું જણાવ્યું
સુખસર,તા.7
ફતેપુરા તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આજરોજ ફતેપુરા મામલતદાર કચેરી આવી મામલતદાર વસાવાને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી વાણી વિલાસ કરી સમાજને બદનામ કરવાની કોશિશ કરાતા તેઓની ઉમેદવારી પત્ર રદ કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવેલું હતું. મામલતદાર આવેદનપત્ર સ્વીકારી કલેકટરને પહોંચાડી આપવાની ખાતરી આપેલ હતી.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમ દરમિયાન સમસ્ત રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય એ પ્રકારના પ્રવચનો નો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.ઉપરોક્ત વીડિયોમાં બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરેલ છે. જેના લીધે ક્ષત્રિય સમાજમાં પરસોતમ રૂપાલા પ્રત્યે રોર્ષની લાગણી ફેલાઈ ગયેલ છે.પરસોતમ રૂપાલા દ્વાર જે વાહિયાત ટિપ્પણી સમાજના રજવાડાઓ અને બહેન દિકરીઓ માટે કરવામાં આવે છે,તે બાબતે સમસ્ત સમાજમાં રોષની લાગણી ફરી વળી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને આ બાબતે વાકેફ કરીએ છીએ કે,જવાબદાર એવા પરસોતમ રૂપાલાની રાજકોટ બેઠકની ઉમેદવાર તરીકે તેમની ઉમેદવારી રદ કરવાની માંગણીની અવગણના કરી પરસોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે રાખવામાં આવશે તો સમગ્ર દેશમાં દરેક લોકસભા સીટ પર જ્યાં ક્ષત્રિય સમાજનું મતદાન થશે તે ભાજપ વિરુદ્ધમાં થશે તેવા પ્રયત્નો ક્ષત્રિય રાજપૂત સમાજ ફતેપુરા કરશે જેની ગંભીર નોંધ લેવા આવેદનપત્રમાં જણાવ્યું હોવાનું જાણવા મળે છે.