જીગ્નેશ બારીયા :- દાહોદ
લીમખેડા તાલુકાની લાડપુર મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય અમૃત પ્રજાપતિને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટીસ ફટકારતા શિક્ષણ જગતમા ફફડાટ ફેલાયો
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાની તપાસણી કરતા ગંભીર પ્રકારની ક્ષતીઓ સામે આવતા ડી.પી.ઈ.ઓ.ને તપાસણી અહેવાલ મોકલ્યો હતો
આચાર્ય અમૃત પ્રજાપતિ દ્વારા છેલ્લા સાત વર્ષથી સરકારી ગ્રાન્ટનો રોજમેળ નિભાવેલ ન હોવાનુ જણાવતા ટીપીઓ ચોકી ઉઠ્યા
દાહોદ તા.11
લીમખેડા તાલુકાની લાડપુર મુખ્ય પ્રાથમિક શાળાની તાલુકા શિક્ષણાધિકારીએ ઓચિંતી મુલાકાત લઇ ઝીણવટભરી તપાસણી હાથ ધરી હતી, તપાસણી દરમ્યાન શાળાના આચાર્ય અમૃત પ્રજાપતિએ ફરજમા ગંભીર પ્રકારની બેદરકારી દાખવેલ હોવાનુ સામે આવતા તાલુકા શિક્ષણાધિકારી ચોકી ઉઠ્યા હતા. સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાત્કાલિક જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસણી અહેવાલ મોકલતા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ લાડપુર મુખ્ય પ્રાથમિકના આચાર્યને નોટીસ ફટકારતા શિક્ષણ આલમમા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ-૦૨/૦૮/૨૧ ના રોજ લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ લાડપુર મુખ્ય પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી, લાડપુર મુખ્ય પ્રાથમિક શાળામાં છેલ્લા સાત વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા અમૃત પ્રજાપતિ પાસે ટીપીઓ દ્વારા આચાર્યએ નિભાવવાના રેકોર્ડની માંગણી કરતા આચાર્ય અમૃત પ્રજાપતિએ કેટલુક રેકોર્ડ તપાસણી અર્થે રજુ કર્યુ હતુ, તાલુકા શિક્ષણાધિકારીએ રજુ કરેલ રેકોર્ડ ની તપાસણી કરતા આચાર્યની ઘોર બેદરકારી સામે આવી હતી આચાર્ય અમૃત પ્રજાપતિએ દ્વારા તા.૨૭/૦૯/૨૦૧૪ થી સરકાર દ્વારા ફાળવેલ કંટીજન્સી ગ્રાન્ટ નો કોઈ રોજમેળ નિભાવેલ નહિ હોવાનુ સામે આવ્યુ હતુ. સાથે સરકાર દ્વારા શાળાના વિકાસ માટે શાળાને ફાળવવામા આવતી વિવિધ યોજનાઓ ની ગ્રાન્ટનો રોજમેળ વર્ષ ૨૦૧૯-૨૦ થી શાળા આચાર્ય અમૃત પ્રજાપતિએ નિભાવેલ નથી તેમજ આચાર્ય અમૃત પ્રજાપતિએ દૈનિક નોંધપોથી પણ નિયમિત રીતે નિભાવતા નહિ હોવાનુ તપાસણી દરમ્યાન સામે આવ્યુ હતુ.
લીમખેડા તાલુકાની લાડપુર મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય પોતાની ફરજ મા ગંભીર બાબતો મા પણ ઘોર બેદરકારી દાખવી રહયા હોવાનુ જણાઈ આવેલ છે. શાળાના આચાર્ય અમૃત પ્રજાપતિએ સરકારશ્રીના તા.૦૭/૦૨/૨૦૧૪ ના ઠરાવની જોગવાઈ અનુસાર આદર્શ આચાર સંહિતાનું પણ પાલન કરેલ નથી. તેમજ પ્રાથમિક શિક્ષણ નિયમ –૧૯૪૯ ના ૭૦ ( ૧ ) મુજબની ફ૨જો પણ નિભાવવામા આચાર્ય અમૃત પ્રજાપતિ નિષ્ફળ ગયેલ હોવાનુ જાણવા મળી રહ્યુ છે, જેને લઈને આચાર્ય અમૃત પ્રજાપતિ વિરૂધ્ધ ગુજરાત પંચાયત સેવા વર્તણુંક નિયમો -૧૯૯૮ ૩ (૧) , (૨) ની જોગવાઈઓનો ભંગ થવાના કિસ્સામાં ગુજરાત પંચાયત સેવા ( શિસ્ત અને અપીલ ) નિયમો -૧૯૯૭ ના ( ૬ ) અન્વયેની શિક્ષાત્મક કાર્યવાહી કેમ હાથ ન ધરવી તેનો લેખિત ખૂલાસો જરૂરી આધાર પુરાવા સાથે તા.૧૩/૦૮/૨૦૨૧ ના રોજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદને રૂબરૂ રજુ કરવા નોટીસ ફટકારવામા આવી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે.
શાળાના આચાર્ય પોતાની કામગીરી બીજા પાસે કરાવતા હોવાની ચર્ચાઓ: ગણેશ તપાસ થાય તો ભોપાળું બહાર આવવાની શક્યતા
લાડપુર મુખ્ય પ્રાથમિક શાળામા આચાર્ય તરીકે ફરજ બજાવતા અમૃત પ્રજાપતિ દ્વારા પોતાની ફરજના ભાગરૂપે કરવાની કામગીરી પોતે કરવાના બદલે શાળાના શિક્ષકો પાસે કરાવતા હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે, આચાર્ય દ્રારા શાળાના વિકાસ માટે ફાળવણી કરવામા આવતી ગ્રાન્ટનો પુરેપુરો ઉપયોગ કરવા નહિ આવતો હોવાની જાણકારી સુત્રો મારફતે મળી રહી છે, આચાર્ય દ્વારા આચરવામા વ્યાપક ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાઈ નહિ.