જીગ્નેશ બારીયા :- દાહોદ
ફતેપુરા આદિવાસી ટાઇગર સેનાએ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરશ્રી ને આવેદન આપ્યું
દાહોદ તા.25
ફતેપુરા આદિવાસી ટાઈગર સેનાએ સરકારી સસ્તા અનાજની દુકાનોના ભ્રષ્ટાચાર બાબતે કલેકટર શ્રી દાહોદ ની મુલાકાત લઈ રજૂઆત અને ફરિયાદ કરી. 4 વખત મામલતદાર શ્રી ફતેપુરા તથા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા સચિવ ને લેખીત ફરિયાદ અને અનેક વખત રુબરુ રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં આવતા આજે કલેકટર શ્રી દાહોદ ને રુબરુ મળી ફરિયાદ કરી હતી.
ફતેપુરા તાલુકા ઉપરાંત આખા દાહોદ જિલ્લામાં સરકારી દુકાનોના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ના મેળાપીપણાથી ચાલતા ભ્રષ્ટાચાર થી ગરીબ આદિવાસી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા નિયત રાશન નો જથ્થો આપવામાં આવે છે એમાં 2 થી 5 કિલોગ્રામ જેટલો જથ્થો ઓછો આપવામાં આવે છે અને આખા તાલુકામાં એક પણ દુકાન સંચાલક આપેલા રાશન ના જથ્થાની કોમ્પ્યુટરાઇઝ રિસિપ્ટ ક્યારેય આપતા નથી. જે રિસિપ્ટ માંગે છે એને ધમકી આપવામાં આવે છે. કેટલાક દુકાનદારોએ ગ્રાહકોને એમ કહે છે કે તમારાથી થાય તે કરી લો અમે ઓછો જથ્થો જ આપીશું. છેક સરકાર સુધી અમે હપ્તો આપીએ છીએ. કોરોના કાળમાં પૂરતી રોજગારી પણ ઉપલબ્ધ નથી ત્યારે જીવન નિર્વાહ માટે સરકાર દ્વારા આપવામાં આવતા રાશન જ એક આધાર છે. પરંતુ સરકારની આ ઉમદા ભાવના પર દુકાનોના સંચાલકો અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ના પાપે પાણી ફરી વળ્યું છે. ગરીબ આદિવાસીઓના હાથનો કોળીઓ ઝૂંટવી ખાનાર આ સંચાલકો અને ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓ આ પાપ ક્યાં ભોગવશે એ સવાલ છે.
આજે દાહોદ કલેકટર શ્રી ને મળી આદિવાસી ટાઈગર સેના ના મધ્ય ગુજરાત ના પ્રમુખ શિરીષ બામણીયા, આદિવાસી ટાઈગર સેના ફતેપુરા ના પ્રમુખ મેહુલ તાવિયાડ અને અન્ય સામાજીક કાર્યકરોએ આ બાબતે રજૂઆત કરી ગરીબ આદિવાસી પ્રજાને સરકારી ધારાધોરણ મુજબ રાશન મળે અને એની કોમ્પ્યુટરાઇઝ રિસિપ્ટ આપે તેમ કરવા આદેશ કરવા જણાવ્યું હતું. કલેકટર શ્રી એ તપાસ ટીમોની રચના કરી છે અને એનો રિપોર્ટ આવે એટલે તરત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી ખાતરી આપી હતી.