રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…
દાહોદના નાનકડા ગામમાં જન્મેલી યુવતીએ ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ સમ્માન “યુવા ગૌરવ પુરસ્કાર” પ્રાપ્ત કરી દાહોદ જીલ્લાનું ગૌરવ વધાર્યું
યુવા ગૌરવ પુરસ્કાર ૪૦ થી ઓછી વયના સૌથી શ્રેષ્ઠ લેખકને આપવામાં આવતો પુરસ્કાર છે.
સૌથી નાની ઉંમરે કોઈ મહિલા સર્જકને આ સન્માનથી નવાજવામાં આવ્યા હોય એ ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના છે.
દાહોદ જિલ્લાની આ દીકરીના નામે 30 પરીક્ષાઓ પાસ કરવાનો રેકોર્ડ પણ કરેલ છે.
આયુર્વેદ દ્વારા કરેલ કાર્યો તેમજ સિદ્ધિઓને લઇ અનેક નામાંકિત સંસ્થાઓ તેમજ ગૃહ રાજ્ય મંત્રીએ પણ સન્માનિત કરેલ છે
દાહોદ તા.14
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે.જેમાં મહિલા શિક્ષણનું પ્રમાણ સૌથી ઓછું છે.એ જ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં નવાગામ (બોરડી) ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલી આ દીકરીએ દાહોદ જિલ્લા પરનું લાંછન ભૂસીને જિલ્લાનું નામ અજવાળી દીધું છે.રિન્કુબેન રાઠોડના પિતાશ્રીનું નામ વજેસિંહ રાઠોડ અને માતાશ્રીનું નામ શારદાબેન રાઠોડ છે. જેઓ શિક્ષક છે. રિંકુ બેન હાલ સચિવાલય ગાંધીનગર ખાતે નાયબ સેકશન ઓફિસર છે.તેમનો પરિવાર નવાગામ ખાતે રહે છે.તેમનું ૧-૭ ધોરણ સુધીનું શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાં થયું છે. ૮- ૧૦ સુધીનું શિક્ષણ આદર્શ નિવાસી શાળા,ઝાલોદ ખાતે થયું છે અને ૧૧-૧૨ નવજીવન ગર્લ્સ હાઇસ્કુલ ,દાહોદ ખાતે થયું છે.સંજોગોને કારણે એમને M.A. B.ed. એક્સટર્નલ તરીકે કર્યું છે.
ગામડામાં રહી આ અનોખી સિદ્ધિ મેળવવી એ નાની સૂની વાત નથી..
વ્યક્તિને મહેનત અને ધગશ હોય તો તમે ચાહો એ સપનું પૂરું કરી શકો.તેમનું ઉત્તમ ઉદાહરણ રિંકુ બેન છે. કોઈપણ પ્રકારનું સાહિત્યિક બેક ગ્રાઉન્ડ ન હોવા છતાં આટલી મોટી સિદ્ધિ મેળવવી એ નાની સૂની ઘટના નથી.રિન્કુ બેન સંઘર્ષની જીવતી જાગતી મિસાલ છે.અગાઉ એમના નામે ૩૩ પરીક્ષાઓ પાસ કરવાનો રેકોર્ડ પણ છે.ખૂબ નાની ઉંમરે એમણે કરેલા કાર્યો અને મેળવેલ સિદ્ધિઓ બદલ ગૃહ રાજ્ય મંત્રીશ્રી અને અનેક સંસ્થાઓએ એમને સન્માનિત કરેલ છે.ખેતરમાં દાતરડું ચલાવતી આપણી આ ગૌરવવંતી દીકરીની કલમ ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે.તેમના કાવ્ય સંગ્રહો ” અક્ષર સાડા પાંચ ” ( જે તેમણે પોતાના માતા પિતાને અર્પણ કર્યો છે.) અને ” દ્ર્શ્યો ભીનેવાન ” છે.( જે તેમણે પોતાની માતૃભૂમિ દાહોદ ને અર્પણ કર્યો છે.) તેઓનું નામ કવયિત્રી તરીકે તથા સંચાલક તરીકે ખૂબ માનપૂર્વક લેવામાં આવે છે. અનેક મુશાયરા તથા સાહિત્યિક કાર્યક્રમોમાં તેઓ સામેલ હોય છે.જોકે આટલી નાની ઉંમરે મેળવેલ સિદ્ધિઓનો શ્રેય તેઓ પોતાના માતા – પિતા અને પરિવારને આપે છે.