જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૨૦
દાહોદથી પસાર થતી મહત્વની ત્રણ ટ્રેનોના સ્ટોપેજ મળતાં દાહોદ જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર મળી રહ્યાં છે. બાન્દ્રા ટર્મિનલ – જયપુર- બાન્દ્રા ટર્મિનલ સ્પેશિયલ સુપફાસ્ટ ટ્રેન અને બીજી ઓખા – નાથદ્વારા – ઓખા સ્પેશીયલ ટ્રેન (સાપ્તાહિક) અને ઈન્દૌર – ગાંધીનગર – ઈન્દૌર સ્પેશીયલ ટ્રેન આ ત્રણ ટ્રેનોને દાહોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, બાન્દ્રા ટર્મિનલ – જયપુર- બાન્દ્રા ટર્મિનલ સ્પેશિયલ સુપફાસ્ટ ટ્રેન તારીખ ૨૨મી ફેબ્રુઆરીના રોજથી વિભિન્ન સ્ટેશનો પરથી પસાર થશે જેમાં બાન્દ્રા ટર્મિનલથી દાહોદ, રતલામ, નાગદા થઈ જયપુર પહોચશે ત્યાર બાદ બીજા દિવસે બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, દાહોદ, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર તેમજ દુર્ગાપુરા સ્ટેશનો પર રોકાશે.
બીજી તરફ ઓખા – નાથદ્વારા – ઓખા સ્પેશીયલ સાપ્તાહિક ટ્રેન તારીખ ૨૪મી ફેબ્રુઆરીથી ઓખાથી દર બુધવારે ઉપડશે. આ ટ્રેન ઓખાથી દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ થઈ આ ટ્રેન બીજા દિવસે નાથદ્વારા પહોંચશે. ૨૫મી ફ્રેબુઆરીથી દર ગુરૂવારે આ ટ્રેન નાથદ્વારાથી ઉપડી ચિત્તોડગઢ, નીમચ, મંદસૌર, રતલામ થઈ બીજા દિવસે ઓખા પહોંચશે.
ત્રીજી ટ્રેન જેમાં ઈન્દૌર – ગાંધીનગર – ઈન્દૌર સ્પેશીયલ ટ્રેન ૦૧ માર્ચ ઈન્દૌરથી ઉપડી દેવાસ, ઉજ્જૈન, નાગદા, ખાચરોદ, રતલામ, મેઘનગર, દાહોદ તેમજ ગોધરા પહોંચશે ત્યાર બાદ બીજા દિવસે ગાંધીનગર પહોંચશે. ગાંધીનગરથી ૨ માર્ચના રોજ આ તમામ સ્ટેશનો પરથી પસાર થઈ ઈન્દૌ પહોંચશે. આમ, આ બંન્ને ટ્રેનોનું સ્ટોપેજ દાહોદ રેલ્વે સ્ટેશને પણ પ્રાપ્ત થતાં જિલ્લાવાસીઓને મુસાફરીમાં સહુલિત મળશે.