બાબુ સોલંકી :- સુખસર
*સુખસર-ફતેપુરા પંથકમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી, વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો*
*24 માર્ચે રોબર્ટ કોંચ દ્વારા ક્ષય રોગના બેક્ટેરિયાની શોધના સ્મરણાર્થે ઉજવાય છે*
સુખસર,તા.25
સુખસર તાલુકાના સાઈ નર્સિંગ કોલેજ પાડલીયા તથા ભીતોડી ગામમાં તેમજ ફતેપુરા તાલુકાના માધવા પ્રાથમિક શાળામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ક્ષય (ટી.બી) રોગ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
વિશ્વ ક્ષય દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે.આ દિવસ રોબર્ટ કોંચ દ્વારા ક્ષય રોગના બેક્ટેરિયાની શોધના સ્મરણાર્થે ઉજવાય છે. કાર્યક્રમમાં ક્ષય રોગના કારણો, લક્ષણો અને તેના નિવારણ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
વિશેષરૂપે બીડી,સિગારેટ અને તમાકુના સેવનને ક્ષય રોગ માટેનું મુખ્ય કારણ ગણાવીને લોકોને આ વ્યસનોથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.વિશ્વસ્તરે ક્ષય રોગ ગંભીર સમસ્યા બની રહ્યો છે.જેમાં લાખો લોકો પ્રભાવિત થઈ રહ્યા છે.
શંકરભાઈ કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે,આજના સમયમાં બાળકો અને મહિલાઓમાં પણ વ્યસનનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે.જે ચિંતાજનક બાબત છે.તેથી નાની ઉંમરથી જ વ્યસનથી દૂર રહેવાની અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો.
આ પ્રસંગે નર્સિંગ કોલેજની દીકરીઓએ તમાકુ મુક્ત રહેવાનો અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ લીધો હતો.આ રીતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી દ્વારા આરોગ્ય જાગૃતિ અને વ્યસનમુક્તિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
