
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારની 16 વર્ષીય સગીરાના અપહરણમાં સંડોવાયેલ આરોપીને ઝડપવા પોલીસ દ્વારા ફરિયાદી સાથે રમાતી ખો-ખોની રમત!*
*અપહરણનો ભોગ બનેલી સગીરાના પિતાએ ફરિયાદ આપતા 10 એપ્રિલના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે*
*અપહરણ,પોક્સોના દાખલ થયેલ ગુનાની તપાસ ફતેપુરા પી.આઇ ને સોંપવામાં આવેલ છે:તપાસ સુખસર પી.આઇ કરશેના જવાબ આપવામાં આવે છે?*
સુખસર,તા.2
ગુજરાત સરકાર દ્વારા ફતેપુરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકાર દ્વારા પૂરતો પોલીસ મહેકમ પૂરો પાડવામાં આવેલ છે.ત્યારે હાલ સુખસર તથા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પૂરતો પોલીસ સ્ટાફ કાર્યરત છે.છતાં સામાન્ય અરજી તેમજ ગંભીર ફરિયાદની બાબતમાં અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી ધરમ ધક્કા ખાવા છતાં ફરિયાદીઓને ન્યાય નહીં મળતો હોવાની ફરિયાદો સતત ઉઠતી રહે છે. તેવાજ એક પોક્સાના ગુનાના આરોપીને એફ.આઇ.આર દાખલ થયા ના બે માસ સુધી છૂટો દોર અપાઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પંથકના એક ગામડાની 16 વર્ષ 27 દિવસની એક સગીરાની 1 એપ્રિલ 2025 ના રોજ સંતરામપુર તાલુકાના બાબરોલ ગામના લાંમડા ફળિયાના અશ્વિનભાઈ નવીનભાઈ ગરાસીયાએ સમજાવી પટાવી ફોસલાવી પોતાના ઘરમાં પત્ની તરીકે રાખવાના ઇરાદાથી અપહરણ કરી ગયો હતો.તે બાબતની સગીરાના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં 1 એપ્રિલ 2025 ના રોજ લેખિત જાણ કરી હતી.ત્યારબાદ 10 એપ્રિલ 2025 ના રોજ સુખસર પોલીસે અશ્વિન ગરાસીયા સામે એફ.આઇ.આર દાખલ કરી અપહરણ તથા પોક્સોની કલમોથી ગુનો દાખલ કર્યો હતો.જેની તપાસ ફતેપુરા પી.આઇ જે.એમ ખાંટને સોંપવામાં આવી હતી.ત્યારબાદ આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી.પરંતુ આજ દિન સુધી આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી.અને અપહરણનો ભોગ બનેલી સગીરાનો પણ આજ દિન સુધી કોઈ પત્તો મળેલ નથી.
ત્યારબાદ અપહરણનો ભોગ બનેલી સગીરાના પિતાએ અનેક વાર સુખસર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા આ તપાસ ફતેપુરા પી.આઇ ને સોંપવામાં આવી છે.અને આરોપીને પકડવાની જવાબદારી તેમની છે તેમ જણાવતા સગીરાના પિતાએ ફતેપુરા પી.આઇ નો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આ ફરિયાદ સુખસર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને તમારી ફરિયાદની સુખસર પી.આઇ તપાસ કરશે તેવા જવાબો આપી છેલ્લા બે માસથી અપહરણનો ભોગ બનેલી સગીરાના પિતાને ફતેપુરા પોલીસ સ્ટેશનના જવાબદારો સુખસર અને સુખસર પોલીસ સ્ટેશનના જવાબદારો દ્વારા ફતેપુરાના ધરમ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાનો ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ત્યારે અપહરણનો શિકાર બનેલી સગીરાને અપહરણકારના પંજામાંથી છોડાવી સગીરાનો કબજો તેના પિતાને સોંપવામાં આવે તેમજ આરોપીને ઝડપી કોર્ટ હવાલે કરવામાં આવે તેવી સગીરાના પરિવારની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.