હિતેશ કલાલ @ સુખસર
ફતેપુરામાં એગ્રો સેન્ટરો પર ખાતર મળતું ન હોવાની બૂમો વચ્ચે અનઅધિકૃત 423 થેલી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો,કલેકટરની સૂચનાથી ખેતી અધિકારીની ટીમે 1.12 લાખનો જથ્થો સીઝ કર્યો.જથ્થો ક્યાંથી આવ્યો? અને કોને આપ્યો? તે તપાસનો વિષય.
સુખસર.તા.01
ફતેપુરા તાલુકાના એગ્રો સેન્ટર પર હાલમાં યુરિયા ખાતરની તંગી સર્જાઇ રહી છે ખેડૂતો ખાતર માટે ફાંફાં મારી રહ્યા છે ચારેકોર ખાતર માટે બૂમો સાંભળવા મળી રહી છે ત્યારે ફતેપુરા નગરમાં એક ગોડાઉનમાંથી અનઅધિકૃત ૪૦૦થી વધુ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. કલેકટરની સૂચનાથી ખેતી અધિકારીની ટીમે છાપો મારીને જથ્થો જપ્ત કર્યો હતો અને સંગ્રહ કરનાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ફતેપુરા તાલુકામાં હાલમાં વરસાદ ખેંચાતા ખેતી નિષ્ફળતાના રહે છે.ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જુએ છે.ખેડૂતોને યુરિયા ખાતર માટે ફાફા મારવાનો વારો આવ્યો છે.એકલો સેન્ટરો પર ખાતર ન હોવાથી તંગી સર્જાઇ રહી છે.જ્યારે કેટલાક વેપારીઓ વરસાદ આવે તે પહેલાં જ યુરિયા ખાતર નો સંગ્રહ કરવામાં લાગી ગયા છે.ફતેપુરામાં બલૈયા રોડ પર આવેલા પેટ્રોલ પંપની સામેના ગોડાઉનમાં અનઅધિકૃત રીતે યુરિયા ખાતરનો જથ્થો ઉતારાયો હોવાની બાતમીના આધારે કલેકટર વિજય ખરાડીની સૂચનાથી નાયબ ખેતી અધિકારી સી એમ પટેલ ફતેપુરા વિભાગના ખેતી અધિકારી મિત્તલ બારીયા સહિતની ટીમ દ્વારા શુક્રવારના સાંજના સમયે છાપો મારવામાં આવ્યો હતો.જેમા ૪૦૦થી વધુ યુરિયા ખાતરની થેલીમાં જથ્થો મળી આવતા અધિકારીઓ ચોંકી ઊઠયા હતા ખેતી અધિકારીની ટીમે નર્મદા યુરિયા 394 થેલી અને ઇફકો યુરિયા 29 થેલી થઈ કુલ 423. રૂપિયા 1,12,729 નો જથ્થો સીઝ કરી કસ્ટડીમાં મૂક્યો હતો. આ જથ્થો ફતેપુરાના સુભાષભાઈ નાગરમલ અગ્રવાલનો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ જથ્થો ક્યાંથી આવ્યો અને કયા વેપારી એ આપ્યો તે દિશા તરફ તપાસ હાથ ધરી હતી.
જિલ્લા સમાહર્તા શ્રીની સૂચના આધારે છાપો મારી ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો :-સી.એમ.પટેલ (ખેતીવાડી અધિકારી દાહોદ)
ફતેપુરામાં યુરિયા ખાતર ગોડાઉનમાં ઉતર્યું હોવાની બાતમીના આધારે કલેકટર સાહેબની સૂચના થી છાપો માર્યો હતો જેમાં 423 થેલી 1.12 લાખ થી વધુ જથ્થો સીઝ કરી સુભાષભાઈ નાગરમલ અગ્રવાલ સામે એસેન્ટીયલ કોમોડિટી એક્ટ 1955 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
સરકાર દ્વારા બિયારણનો પૂરતો જથ્થો મળતો નથી જ્યારે વેપારીઓ જથ્થો ક્યાંથી લાવે છે.તે તપાસનો વિષય
ફતેપુરા તાલુકામાં દસ હજારથી વધુ ખેડૂતો ખેતી કરી રહ્યા છે જેઓને વન બંધુ કલ્યાણ યોજના હેઠળ 3500 બિયારણ કીટનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.પરંતુ માત્ર 3000 જ કિટ ફાળવવામાં આવી હતી.જ્યારે એગ્રો સેન્ટર પર પણ ખાતર મળતું નથી તો વેપારીઓ ખાતરનો જથ્થો ક્યાંથી લાવે છે તે તપાસનો વિષય છે. તેમજ સરકાર દ્વારા ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર બિયારણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.