*પ્રાકૃતિક ખેતી-દાહોદ* *પ્રગતિશીલ ખેડૂતશ્રી પ્રતાપભાઈ પગી પ્રાકૃતિક ખેત પદ્ધતિ થકી ફૂલો, ફળો તેમજ શાકભાજીની ખેતી કરીને વાર્ષિક સારુ એવુ ઉત્પાદન મેળવી આર્થિક નફો મેળવી રહ્યા છે.*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*પ્રાકૃતિક ખેતી-દાહોદ*

*પ્રગતિશીલ ખેડૂતશ્રી પ્રતાપભાઈ પગી પ્રાકૃતિક ખેત પદ્ધતિ થકી ફૂલો, ફળો તેમજ શાકભાજીની ખેતી કરીને વાર્ષિક સારુ એવુ ઉત્પાદન મેળવી આર્થિક નફો મેળવી રહ્યા છે.*

*પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોએ સફળતા માટે થોડો સમય ધીરજ ધરવી જરૂરી છે.-પ્રગતિશીલ ખેડૂતશ્રી પ્રતાપભાઈ પગી*

દાહોદ તા. ૩૦

સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર સ્તંભ એવા દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રમાંથી ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. ખેતી એ ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે. આત્મા પ્રોજેક્ટ સહિત સરકારશ્રીના બાગાયતી તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા વિવિધ ફાયદાઓ અંગેની ચર્ચા – વિચારણા સહિત પ્રેક્ટિકલ દ્વારા પણ સમજ આપવામાં આવી રહી છે.

સરકારશ્રીના આ વિભાગો દ્વારા તાલીમ દરમ્યાન ખેડૂતોને કુદરતી ખાતર બનાવવાની પદ્ધતિ, તેનો ઉપયોગ કરવાની રીત ઉપરાંત કુદરતી ખાતર બનાવવા માટે શેની જરૂર પડે એ વિશે વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવે છે. પ્રગતિશીલ ખેડૂતો પણ પોતાના અનુભવ અન્ય ખેડૂતો સમક્ષ મૂકીને પોતાને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી કઈ કઈ પ્રકારે ફાયદા થયા એ અનુભવો જણાવે છે. 

અહીં વાત કરીએ છીએ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રુવાબારી ગામના વતની અને વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતશ્રી પ્રતાપભાઈ પગીની. પ્રતાપભાઈ પગી અત્યારે ગલગોટાના ફૂલોની મોટેભાગે ખેતી કરી રહ્યા છે. રંગબેરંગી ગલગોટાના ફૂલોથી જાણે સુરેશભાઈનું ખેતર મહેકી ઉઠ્યું છે.

ખેતરમાં પ્રવેશતાં જ સમગ્ર વાતાવરણમાં સુગંધી વડે મન પ્રસન્ન કરી મૂકે છે. એ સાથે પ્રતાપભાઈએ પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીની ખેતી પણ કરી છે. જે સમગ્ર પ્રાકૃતિક ખેત પદ્ધતિના ઉપયોગથી સફળ રીતે કરી છે. જે દાહોદ જિલ્લામાં અમુક જ ખેડૂતો કરતા હોય છે. એ સાથે મેથી, રીંગણ, ઘઉં તેમજ અન્ય સીઝનલ પાક તેમજ શાકભાજી દ્વારા પોતાના પરિવાર સહિત સમાજને ચોખ્ખું તેમજ શુદ્ધ ફળો, શાકભાજી તેમજ અનાજ પૂરું પાડી રહ્યા છે.

પ્રતાપભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીને અપનાવવી ફાયદાકારક છે, તેનાથી વિપરીત રાસાયણિક ખાતર થકી ખેતીને ઘણું જ નુકસાન થાય છે. એક ખેડૂત માટે જમીન, પાક અને આવક મહત્વની હોય છે, જો જમીન ફળદ્રુપ હશે તો પાકના ઉત્પાદન સહિત ગુણવતા સારી હશે. અને જમીન અને પાક બરાબર હશે તો આવક એની મેળે થશે.

તેઓ વધુમાં ઉમેરતાં જણાવે છે કે, હા, અહીં પ્રાકૃતિક ખેતી ખેડૂતોની મહેનત માંગી લે છે. પરંતુ આપણે ખેડૂત છીએ આપણા જ ફાયદા માટે થોડી ધીરજ ધરવી ખુબ જ જરૂરી છે. 

૦૦૦

Share This Article