જીગ્નેશ બારીયા @ દાહોદ, મઝહર અલી મકરાણી @ દે.બારીયા
દાહોદ/દે.બારીયા તા.24
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે કેટલાય દેશોમાં ભરડો લીધો છે.ત્યારે રાજ્યમાં કોરોના વાઇરસના લીધે લોકડાઉન કરી ધારા 144 અંતર્ગત સંચારબંધી લાગુ કરી દેવામાં આવી હતી.ત્યારે જિલ્લાભરમાં વસવાટ કરી રોજ મજૂરી કરી પેટિયું રળતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવી છે. આ સેવાભાવી સંસ્થાઓ તેમજ લોકોએ ફૂડપેકેટો,ચા,શરબત સહીત ખાણીપાણી સહીતની જરૂરી નિશુલ્ક અનાજની કીટ વિતરણ કરવામાં આવેલ છે.દાહોદ શહેરમાં રામરોટી મંડળ,તેમજ અન્ય સેવાભાવી લોકોએ શહેરમાં પ્રજાના હિતમાં ખડેપગે બંદોબસ્તમાં ગોઠવેલ પોલિસ માટે ચા,ફૂડપેકેટો, શરબત,પાણી વગેરે વિતરણ કરી આ મહામારીમાં એકબીજાથી ખબેથી ખબે મીલાવી મદદ કરી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.ત્યારે આ સેવાભાવી સંસ્થાઓ દ્વારા દાહોદમાં વસવાટ કરતા ભિક્ષુક, પ્રવાસીઓ તેમજ અન્ય જરૂરતમંદ લોકો સુધી ખાણીપીણીની ચીજ વસ્તુઓ પહોંચાડી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે ત્યારે દે.બારીયામાં પણ જય માતાજી ગરબા મંડળ દ્વારા નીરાધારોના વ્હારે આવ્યા અને જેમાં તમામ ધર્મ જાતિના ગરીબ લોકો સુધી અનાજ અને રાશન આપવામાં આવ્યું.અને જેમને જરૂર હોય તે માટે જરૂરી મોબાઈલ નંબર પણ મૂકવામાં આવ્યા છે.