Thursday, 28/03/2024
Dark Mode

લીમડી: પર પ્રાંતીય મજુરે ડિપ્રેશનમાં આવી ખારવા નદી પર ઝાડ પર દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

લીમડી: પર પ્રાંતીય મજુરે ડિપ્રેશનમાં આવી ખારવા નદી પર ઝાડ પર દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

 નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.૨૪

ઝાલોદ તાલુકાના કારઠ ગામે એક ઈટોના ભઠ્ઠા પર મજુરી કામ કરતો અને મુળ વતન યુ.પી.ખાતે રહેતો એક ૩૬ વર્ષીય યુવકે લોકડાઉનના પગલે પોતાના વતન ન જઈ શકવાના કારણે અને ડીપ્રેશનમાં આવી જતાં આ યુવકે કારઠ ગામે આવેલ ખારવા નદીની નજીકના ઝાડ ઉપર દોરડુ બાંધી લટકી જઈ ગળે ફાંસો ખાંઈ લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાબડતોડ ઘટના સ્થળે પહોંચી જઈ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

લોકડાઉનના સમયે પોતાના વતન ન જઈ શકવાના કારણે ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કર્યાની આ બીજી ઘટના દાહોદ જિલ્લામાં બનવા પામી છે. આ અગાઉ ઝાલોદ તાલુકાના લીમડીમાં પણ ટોલનાકા પર ફરજ બજાવતો અને યુ.પી.ખાતે જ રહેતા યુવકે પણ પોતાના ગામ ન જઈ શકવાના કારણે ડિપ્રેશનમાં આવી લીમડી નજીકના ડેમમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યું હતુ.

યુ.પી.ના સમ્મલ જિલ્લાના ગીન્નીરો તાલુકાના ફતેપુરા ગામે રહેતો ૩૫ વર્ષીય નેમપાલ મહેશભાઈ મલ્લાકસ્યપ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામે અમર બ્રીક્સ ઈંટોના ભઠ્ઠા ઉપર છેલ્લા કેટલાક સમયથી મજુરી કામ કરી ત્યા જ રહેતો હતો. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન થતાં પરપ્રાંતિય મજુરો સહિત અનેક લોકો જ્યા હતા ત્યા જ રોકાવાની ફરજ પડી હતી. અને પોતાના પરિવારથી દુર રહેવા મજબુર બન્યા છે.ત્યારે આવા સમયે ઉપરોક્ત યુવકને લોકડાઉનનના કારણે પોતાના ગામ યુ.પી. જવા ન મળતા ડિપ્રેશનમાં આવી ગયો હતો. આવા ડિપ્રેશનના સમયે આ યુવકે ગત તા.૨૩મી એપ્રિલના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સમયગાળા દરમ્યાન કારઠ ગામ આશ્રમ નજીકથી નીકળતી ખારવા નદીની નજીકના એક ઝાડ સાથે દોરડા જેવી વસ્તુથી ગળે ફાંસો ખાંઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રથમ તબક્કે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી મૃતકના મૃતદેહની ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપ્યો છે. આ સંબંધે મૃતકના નજીકના મીત્ર અને અને તેની સાથે જ મજુરી કામ કરતો અને યુ.પી. ખાતે જ રહેતા વિધ્યારામ રામચન્દ્ર મલ્લા કસ્યપ દ્વારા લીમડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના પગલે હાલ દાહોદ જિલ્લામાં પણ અનેક શ્રમીકો તેમજ પરપ્રાંતિય મજુરો દાહોદમાં અટવાયેલા છે ત્યારે આ બીજો બનાવ છે જેમાં પોતાના વતન ન જઈ શકવાના કારણે દાહોદ જિલ્લામાં બે આશાસ્પદ યુવકોએ આત્મહત્યા કરી છે. અગાઉ દાહોદ જિલ્લાના લીમડી ટોલનાકા પર ફરજ બજાવતો અને મુળ યુ.પી. ખાતે જ રહેતા યુવકે લીમડી નજીક આવેલ ડેમમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યું હતુ. અત્રે સઘન પોલીસ તપાસની જરૂર છે કારણે આ બીજા બનાવથી અનેક તર્ક વિતર્કાેએ પણ જન્મ લીધો કે, હકીકતમાં આ યુવકોએ આત્મહત્યા જ કરી છે કે કોઈક કારણોસર તેઓ સાથે કોઈ અનીચ્છીય બનાવ બન્યો છે. એક પછી એક આ બે યુવકોના મોતને પગલે ઘનિષ્ઠ તપાસ માંગી લે છે.

error: Content is protected !!