જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૦૬
દાહોદ શહેર તથા જિલ્લાના બેન્ડબાજા વગાડવાનો ધંધો કરતાં લોકો દ્વારા કોરોના કાળ દરમ્યાન છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાનો બેન્ડવાજા વગાડવાનો ધંધો બંધ હોવાથી આર્થિક સ્થિત કફોડી બનવા પામી છે. આવા સમયે દાહોદ જિલ્લાના બેન્ડવાજાવાળાઓ દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગો સહિત બીજા પ્રસંગોમાં બેન્ડવાજા વગાડવાની પરમીશન માંગી છે.
કોરોના વૈશ્વિક મહામારી દરમ્યાન ત્રણથી વધુ મહિનાઓ દરમ્યાન સખ્ત લોકડાઉનનો દેશવાસીઓને અમલ કરવો પડ્યો હતો. આ સમયગાળા દરમ્યાન ગરીબ તેમજ મધ્ય વર્ગીય પરિવારની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી અને તેમાંય નાના રોજગાર ધંધા ચલાવતા તેમજ લઘુ ઉદ્યોગતો સાવ ભાંગી પડ્યો હતો. લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોકની પધ્ધતિ અપનાવી વાણિજ્ય અને ધંધા ફરી ધમધમતા થાય તે માટે છુટછાટો પણ આપવામાં આવી રહી છે ત્યારે લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગો કે બીજા કોઈ પ્રસંગો હોય તેવા સમયે બેન્ડવાજાનો લોકો ફરજીયાત ઉપયોગ કરતાં હોય છે અને આવા નાના મોટા બેન્ડવાજાવાળાઓ પોતાની આજીવીકા મેળવવા રાત દિવસ એક કરી ધંધો કરતા હોય છે પરંતુ લોકડાઉનના કપરા કાળમાં બેન્ડવાજાના વ્યવસાય કરતાં લોકોને પણ અસર પડતાં હાલ લગ્ન પ્રસંગો વિગેરેમાં બેન્ડવાજા વગાડવાની તંત્ર પરમીશન આપતુ ન હોવાના કારણે દાહોદ શહેર સહિત જિલ્લાના બેન્ડવાળાનો વ્યવસાય કરતાં લોકોની હાલત અત્યંત કફોડી રહેવા પામી છે. આવા સમયે પોતાના રોજગાર ધંધો રાબેતા મુજબ ફરી ધમધમતો થાય અને પોતે રોજી રોટી કમાય તેવા શુભઆશય સાથે આજરોજ દાહોદ શહેર સહિત જિલ્લાના બેન્ડવાજાવાળાઓ દ્વારા નાયબ કલેક્ટર તેમજ દાહોદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી જણાવ્યું હતુ કે, લગ્ન પ્રસંગે તથા ધાર્મિક કાર્યક્રમમાં બેન્ડવાજા વગાડવાનો ધંધો કરતા હોઈ છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના કાળમાં છ માસથી બેન્ડવાજાનો ધંધો બંધ છે. આ ધંધા સિવાય અન્ય કોઈ ધંધો આ લોકો પાસે નથી. રોજી રોટી મળી રહે અને આર્થિક પરિસ્થિતી હાલ ખુબ જ ખરાબ હોવાથી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે અને નિયમોને આધિન ફરી બેન્ડવાજા વગાડવાની પરવાનગી માંગી હતી.
———————