કોરોના મહામારી અને કોર્ટના આદેશ બાદ દાહોદમાં ભગવાન જગન્નાથજીની વાજતે ગાજતે નીકળી રથયાત્રા:આરતી અને પહિંદની વિધિ બાદ મંદિર પરિસરમાં જ રથ ફેરવવા માં આવ્યો:મોટીસંખ્યામાં ભક્તો ઉમટ્યા

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.23

કોરોના મહામારીની વચ્ચે અને અદાલતી આજ્ઞાના પાલન સાથે દાહોદમાં આજે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર અને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.આરતી પછી પહિંદવિધિ બાદ માત્ર બે ત્રણ ફૂટ રથને આગળ ખેંચી આજે નિજ મંદિરમાં જ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકાયા હતા.અત્રેના હનુમાન બજાર ખાતે શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આજે વહેલી સવારે મોટી સંખ્યામાં ભક્તો અને રથયાત્રા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.મંદિર પરિસરમાં જ સૌપ્રથમ આરતી કરી ભગવાનને બિરાજમાન કરાયા હતા સોશિયલ ડિસ્ટન્સની સાથે લાઈનમાં પ્રથમ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા.ચાલુ વર્ષે કોરોના મહામારીની વચ્ચે અદાલતના આદેશને કારણે રથયાત્રા નગરચર્યા પર પ્રતિબંધ ફરમાવતા સૌ ભક્તો ભગવાનના દર્શનથી વંચિત રહી જવા પામ્યા હતા.જોકે ભક્તોની લાગણી અને માંગણી ને ધ્યાને રાખી મંદિરમાં બિરાજમાન ભગવાન જગ્ગનાથને”જય રણછોડ માખણ ચોર” ” ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે” જેવા ગગનભેદી સૂત્રો સાથે ઢોલ-નગારાના તાલે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી સહીત શુશોભિત કરાયેલા રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા. જ્યાં દર વર્ષની જેમ જ પહિંદવિધિ સહિતની તમામ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.આ સમયે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર પ્રક્રિયા સંપન્ન થવા પામી હતી.આમ દાહોદમાં 14માં વર્ષે અશ્રુભીની આંખે ભક્તજનોએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાનને આ રથમાં વિરાજિત કરી તે જ સ્થાને જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. મોડી સાંજ  પછી આરતી કરી પુન:ભગવાનને મંદિરમાં બિરાજમાન કરાયા હતા. દાહોદમાં અને જિલ્લામાં રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી.

Share This Article