રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..
તબીબોનો અનોખો વિરોધ:દાહોદમાં ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિયેશનના 150 જેટલા તબીબોએ સરકારને સદબુદ્ધિ મળે તે માટે આરતી ઉતારી દર્દીઓ માટે સંવેદના વ્યક્ત કરી
દાહોદ તા.06
દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર ઉતરેલા ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિયેશનના 150 જેટલા તબીબોએ સરકાર ને સદ્બુદ્ધિ મળે તે માટે આદ્યશક્તિ માં અંબાની આરતી કરી દર્દીઓ માટે સંવેદના વ્યક્ત કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો..
આરોગ્ય ક્ષેત્રે કામ કરતા દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ તારીખ 7 હડતાલ પર ઉતરી જતા આરોગ્ય સેવાઓ પર માઠી અસર જોવા મળી રહી છે. આરોગ્ય કર્મીઓની હડતાળને પગલે પી.એસ.સી તેમજ સી.એસ.સી સેન્ટર ઉપર સારવાર લેવા આવતા દરદીઓ ખાલી હાથે પાછા ફરી રહ્યા છે. તો કેટલાક દર્દીઓ દાહોદના ઝાઈડસ હોસ્પિટલમાં મજબૂરીવશ સારવાર લેવા આવી રહ્યા છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પોતાના જીવ જોખમમાં મૂકી કેટલાક દર્દીઓને બચાવનાર આરોગ્ય કર્મીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને છેલ્લા કેટલાય દિવસથી સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ પણ માંગણીઓનો પૂર્ણ ન કરાતા આરોગ્ય કર્મીઓની હડતાળ પર ઉતર્યા હતા. જોકે આજે ત્રીજા દિવસે પણ સરકાર દ્વારા આરોગ્ય કર્મીઓની માંગણીઓ સંદર્ભે કોઇપણ જાતનો પ્રત્યુત્તર ન આપતા દાહોદમાં હડતાલ પર ઉતરેલા દોઢસો જેટલા તબીબોએ આજરોજ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં હાલ ચેત્રી નવરાત્રિનો પર્વ ચાલતો હોવાથી ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એસોસિશનના તબીબોએ સરકાર ને સદ્બુદ્ધિ મળે તે માટે આદ્યશક્તિ મા અંબાની આરતી કરી દર્દીઓને પડતી હાલાકી માટે સંવેદના વ્યક્ત કરી હતી.