રાજેશ વસાવે :- દાહોદ
પશ્ચિમ મધ્ય રેલવેના કોટા નજીક ત્રિવેન્દ્રમ રાજધાની ટ્રેનના કોચમાં આગ,168 મુસાફરોનો બચાવ,અનેક ટ્રેનો મોડી પડી.!
વિક્રમગઢ આલોટ પાસે બની ઘટના,રેલ્વે તંત્ર અને પોલીસની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
દાહોદ તા. 17
પશ્ચિમ મધ્ય રેલવેના કોટા મંડળના વિક્રમગઢ આલોટ નજીક દિલ્હી તરફ જતી ત્રિવેન્દ્રમ રાજધાનીના થર્ડ એસી કોચમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ રેલ્વે પોલીસ તથા રેલ્વે તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં રાજધાની ટ્રેનના બે કોચમાં વિકરાળ આગ લાગી હતી, જોકે રેલવે તંત્ર સમય રહેતા જ 168 જેટલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા હતા. જોકે આગ કયા કારણોસર લાગી છે તે હાલ જાણી શકાયું નથી. પરંતુ રેલવે તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહીનો દોર લંબાવ્યો છે.
મળતી માહિતી મુજબ પશ્ચિમ મધ્ય રેલવેના કોટા મંડળમાં આવતા વિક્રમગઢ આળોટ નજીકથી ટ્રેન નંબર 12431 ત્રિવેન્દ્રમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ ટ્રેન નિર્ધારી સમય મુજબ પસાર થઈ રહી હતી તે સમયે થર્ડ એસી કોચમાં અચાનક આગ ફાટી નીકળતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ટ્રેનના ચાલકે તરત ઇમરજન્સી બ્રેક લગાવી રાજધાની ને થોભાવી હતી, અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે આગની વિકરાલ જ્વાલાઓ બીજા કોચમાં ફેલાઈ જતા ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી, આ દરમિયાન રેલવે તંત્ર દ્વારા 168 જેટલા મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.ત્યારબાદ આગમાં ભસ્મીભૂત થયેલા બંને કોચને ટ્રેનથી જુદા કરી ટ્રેનને આગળ નિઝામુદ્દીન તરફ રવાના કરવામાં આવી હતી.આ ઘટનાને પગલે થોડા સમય માટે રેલ્વે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો, જેના કારણે અનેક ટ્રેનો મોડેથી દોડતી થઈ હતી. જેમાં મુજબ સ્વરાજ એક્સપ્રેસ – 4.23 કલાક,દેહરાદૂન એક્સપ્રેસ – 2.13 કલાક,મુંબઈ દુરંતો – 3.10 કલાક,વલસાડ સમર એક્સપ્રેસ – 5.48 કલાક,ઉધના સમર સ્પેશિયલ – 1.02 કલાક,અમદાવાદ એક્સપ્રેસ – 5.35 કલાક,પુણે સમર એક્સપ્રેસ – 26 મિનિટ મોડી.રેલ્વે તંત્ર દ્વારા આગના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
