
#DahodLive#
₹71 કરોડના કૌભાંડ બાદ સક્રિય સરકાર, સ્થાનિક 282 કર્મચારીઓ પણ તપાસ ટીમોને મદદ કરશે.
* દાહોદ મનરેગા કૌભાંડ: રાજ્ય સરકાર દ્વારા 10 તપાસ ટીમોની રચના, 2282 કામોની થશે સ્થળ તપાસ.!!
દેવગઢબારિયા અને ધાનપુર તાલુકાના 100 થી વધુ ગામોમાં ચાલી રહેલા કામોની હકીકત તપાસવા 12 જિલ્લામાંથી 30 અધિકારીઓ તૈનાત
દાહોદ તા. 03
દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં દાખલ થયેલ ફરિયાદ સંબંધિત આખરે સ્થળ પર થયેલા કામો અંગે હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરવા દેવગઢબારિયા અને ધાનપુર તાલુકાના વિવિધ ગામોમાં મનરેગા અંતર્ગત કામોની સ્થળ તપાસણી માટે રાજ્ય સરકાર દ્વારા 10 તપાસ ટીમોની નીમુંણક કરવામાં આવી હતી. જેમા એકલા દે. બારીયાના 80 ગામોમાં 2282 કામો ની તપાસ હાથ ધરશે. આ તપાસ ને અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા 12 જિલ્લામાંથી 30 સરકારી અધિકારી કર્મચારીઓને તપાસ માટે મૂકવામાં આવ્યા છે.જેમા સ્થાનિક તલાટી, ટેક્નિકલ આસિસ્ટન્ટ, તેમજ GRS મળી 282 મનરેગાના કર્મચારીઓ બહારથી આવતી તપાસ ટીમોને મદદ કરશે.
દાહોદ જિલ્લા સહીત ગુજરાતભરમાં ચકચાર મચાવનાર મનરેગા કૌભાંડમાં ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેમા દેવગઢ બારીયાના કુવા રેઢાણા, ધાનપુરના સીમામોઇ માં 71 કરોડના કામોમાં ગેરરીતી સામે આવી હતી.આ સિવાય ધાનપુરના ભાણપુરના 33 લાખ તેમજ દેવગઢ બારીયાના લવારીયાના 18.41 લાખના કામોમાં કૌભાંડ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.જે બાદ પોલીસે આ ગુનાઓમાં 12 સરકારી કર્મચારીઓ, તેમજ મંત્રી પુત્ર સહિત 4 એજન્સીઓના માલિક મળી કુલ 16 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય 31 એજન્સીઓ સામે હાલ તપાસો ચાલી રહી છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા એફઆઇઆર સંદર્ભે કામોમાં બહારની ટીમો દ્વારા તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. જેના અનુલક્ષીને કમિશનર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા દેવગઢ બારીયાના જ 2282 કામોની તેમજ ધાનપુરના વિવિધ ગામોમાં મનરેગા માં થયેલા કામોમાં જિલ્લા બહારની 10 ટીમોને તપાસ માટે નિમણૂક કરવામાં આવી છે. આ દરેક ટીમમાં ત્રણ સભ્યો હશે. આ સાથે સ્થાનિક કર્મચારીઓ તપાસમાં મદદરૂપ થશે. આ તમામ કામોમાં મનરેગાના કામોમાં તપાસ કર્યા બાદ તપાસ નો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.
*રાજ્ય મનરેગાના કામોમાં 12 જિલ્લામાંથી ટીમોની રચના કરી.*
રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી દાહોદના પત્ર, અને કચેરીની ફાઈલ નોંધ પર મળેલી મંજૂરીના આધારે રાજ્યના 12 જિલ્લામાંથી 30 અધિકારીઓની નિમણૂક કરી છે. જેમાં અમદાવાદ,અરવલ્લી,આણંદ,ગીર સોમનાથ,અમરેલી,જામનગર,મહેસાણા નવસારી, મહીસાગર,સુરત,છોટાઉદેપુર તેમજ ગાંધીનગરથી 30 જેટલા અધિકારીઓની તપાસ ટીમની નિમણૂક કરી છે. આ 30 અધિકારીઓ અલગ અલગ 10 ટીમોમાં વહેંચાઈ જશે. જેમાં એપીઓ ટેકનિકલ આસિસ્ટન્ટ, જિલ્લા કો-ઓર્ડીનેટર, ડીડીપીસી, MIS ઓપરેટર તેમજ આસિસ્ટન્ટ વર્ક મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
*બહારથી આવેલી તપાસ ટીમોની મદદ માટે દાહોદના 282 કર્મચારીઓ મદદમાં રહેશે.*
તપાસ ટીમ માટે દાહોદ જિલ્લામાંથી મનરેગાના 282 જેટલા સ્થાનિક કર્મચારીઓ તપાસ ટીમને મદદ કરશે. જેમાં સ્થળ વિઝીટ, અને અન્ય રીતે મદદ કરશે આ 282 સ્થાનિક કર્મચારીઓમાં 94 જેટલા તલાટી, 94 ટેકનિકલ આસિસ્ટન્ટ, તેમજ 94 ગ્રામ રોજગાર સેવકનો નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ કર્મચારીઓ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલી 10 ટીમોમાં વહેંચાઈને તપાસ ટીમો સાથે સ્થળ પર હાજર રહી તપાસમાં મદદરૂપ થશે.
*કયા કયા કામોની તપાસ થશે.*
રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલી તપાસ ટીમ, સ્થાનિક મનરેગાના કર્મચારીઓ સાથે મળી 2282 કામો જેવા કે માટી મેટલ સીસી રોડ, સ્ટોન બંધ, પેવર બ્લોક ચેકડેમ, એમડીએમ હોલ, બાઉન્ડ્રી વોલ, પ્રોટેક્શન વોલ પ્લેગ્રાઉન્ડ, ગેબી ઓન સ્ટ્રક્ચર, સહિતના કામોની તપાસણી કરશે જેમાં પૂર્ણ થયેલા કામો અને ચાલી રહેલા કામોનો સમાવેશ થયો છે.