
બાબુ સોલંકી:- સુખસર
*દાહોદ જિલ્લામાં સરપંચના હોદ્દા માટે રોટેશન પદ્ધતિ અપનાવવાની માંગ*
*દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સરપંચના પદ માટે અનુસૂચિત જાતિના લોકો માટે સીટ ફાળવવા માંગ*
*વર્ષ 1994 માં બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2016 પછી યોજાનાર ચૂંટણીઓમાં રોટેશન પ્રમાણે સરપંચ, ઉપ સરપંચના પદો માટે રિઝર્વેશન રોટેશન શિડયુલ મેન્ટેઇન કરવા આદેશ કરાયેલો છે*
સુખસર,તા.8
પંચાયતી રાજ્ય સત્તા મળ્યા બાદ કેટલીક જ્ઞાતિઓને અનેક ક્ષેત્રે અન્યાય થતો આવેલ છે.જે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો દ્વારા સુધારા વધારા પણ કરવામાં આવે છે. પરંતુ કરવામાં આવતા સુધારાઓને સ્થાનિક કક્ષાના જવાબદારો દ્વારા અમલ કરવા અવગણના કરવામાં આવતી હોય તેવું પણ જોવા અને જાણવા મળે છે.ત્યારે દેશના તમામ જ્ઞાતિ જાતિના નાગરિકો બધા જ ક્ષેત્રોમાં એક સરખો હક્ક ધરાવે છે અને તેઓને બંધારણીય હક્ક પ્રમાણે ન્યાય પણ મળવો જોઈએ.તેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા અને ઓછી વસ્તી ધરાવતા નાગરિકો પોતાના હક્કોથી વંચિત રહેતા આવેલા છે.
જેમાં એક બાબત ગ્રામ પંચાયત સરપંચ પદમાં પણ કેટલીક જાતિના લોકોને દાયકાઓથી અન્યાય થઈ રહ્યો છે.તેમાં અનુસૂચિત જાતિને પણ હળહળતો અન્યાય કરવામાં આવતો હોય તેમ જણાય છે.સરપંચના હોદ્દા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ રોટેશન પ્રમાણે વારાફરતી અનામતનું રોસ્ટર તૈયાર થાય તો નિયમો મુજબ તમામ જ્ઞાતિના નાગરિકોને સરખો ન્યાય મળી શકે તેમ છે.
જોકે વર્ષ 2016માં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ સરકારની નવી સિસ્ટમથી તાલુકા સ્તરે જે ગામોમાં વર્ષ 1994થી પ્રત્યેક ચૂંટણીએ સરપંચનું પદ અનામત રહેતું હશે તે ગામોમાં ડિસેમ્બર 2016 માં યોજાયેલી ચૂંટણી બાદ પુનઃઅનામત આવશે નહીં. તાલુકાના અન્ય ગામોમાં કે જ્યાં અનામત કેટેગરીના વર્ગોની વસ્તી ઓછી હશે ત્યાં પણ તેમને સરપંચનું પ્રતિનિધિત્વ મળી શકશે.જ્યારે જે-તે સમયના વિભાગના નાયબ સચિવ વનરાજસિંહ પઢેરીયાની સહીથી ઉપરોક્ત આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.આ પત્રના અર્થઘટન મુજબ એક વખત અનામત આપ્યા પછી તે જ વર્ગને તે ગ્રામ પંચાયતમાં સરપંચનો હોદ્દો રોટેશન પૂર્ણ થાય ત્યાં સુધી ફરીથી મળવા પાત્ર નથી.પરંતુ તે પછીના વર્ગમાં આવતો હોય તે વર્ગ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો રહેશે તેવો રાજ્ય સરકાર દ્વારા પણ વર્ષો અગાઉ નિર્ણય કરવામાં આવેલ છે.પરંતુ સ્થાનિક કક્ષાના જવાબદારો દ્વારા આ પરિપત્ર પ્રત્યે પ્રજાને અંધારામાં રાખી સરકારના પરિપત્રનું ઉલન કરવામાં આવતું હોય તેમ જણાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલીક જાતિના લોકોને અન્યાય થતાં તેની રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી.અને સમગ્ર ગુજરાતમાંથી ગ્રામ પંચાયતના સરપંચની અનામત હોદ્દાની વારાફરતી ફાળવણી(રોટેશન)સંબંધે પાંચ રજૂઆત કર્તાઓએ રજૂઆત કરી હતી.તેમાં દાહોદ,બનાસકાંઠા,કચ્છ કપરાડા તથા અંજાર કચ્છના રજૂઆત કર્તાઓ હતા અને જે બાબત સુપ્રીમ કોર્ટમાં પણ ગયેલ હતી.અને અનામત સીટોની ફાળવણી કરવા હુકમ પણ થયેલ છે.પરંતુ હવે જોવું રહ્યું કે રાજ્ય સરકારના પરિપત્ર અને કોર્ટના આદેશનું સ્થાનિક જવાબદારો પાલન કરે છે કે કેમ?