લીમખેડા નગરમાં એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો:સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી 45 હજારની માલમત્તા પર તસ્કરોનો હાથફેરો
ધાર્મિક વિધિમાં હાજરી આપવા ગયેલા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું: ૧૦ હજારની રોકડ રકમ, સોના ચાંદીના દાગીના પર હાથફેરો કરી તસ્કરો થયા ફરાર
પોલીસથી નાઈટ પેટ્રોલીંગ વચ્ચે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને ફેંક્યો પડકાર: પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થયા
દાહોદ તા.12
લીમખેડા નગરમાં મકાનને તાળું મારી ધાર્મિક વિધિમાં ગયેલા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ૪૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ત્યારે પોલીસની નાઈટ પેટ્રોલીંગ વચ્ચે બનેલા આ બનાવના પગલે પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો જોવા મળી રહ્યા છે.
વધુ મળતી માહિતી અનુસાર લીમખેડા બજાર ના રહેવાસી અનિલ શાંતિલાલ જાની તથા તેમનો પરિવાર ગત તારીખ ૮મી જાન્યુઆરીના રોજ કાલોલ તાલુકાના મલાવ ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે પોતાના મકાનને તાળું મારીને ગયા હતા. ત્યારબાદ રાત્રિના સમયે ઇરાદા ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં મુકેલા ચાંદીનો ભોરીયું,કંદોરો સોનાની વીંટી 1,ચાંદીના છડા તેમજ રસોડાના ડ્રોવરમાંથી 10 હજાર રૂપિયાની રોકડ મળી ૪૫ હજાર રૂપિયાની માલમતા પર હાથફેરો કરી નાસી છૂટયા હતા. જો કે આસપાસના લોકોએ મકાનમાલિક ને ચોરી અંગેની જાણ કરતા તેઓ તાબડતોડ પોતાના ઘરે દોડી આવ્યા હતા.
આ સંબંધે લીમખેડા બજારમાં રહેતા અનિલભાઈ શાંતિલાલ જાનીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.