
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના વાંકાનેરમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં રાવળના વરુણાના રહીશ 35 વર્ષીય યુવાનનું મોત*
*મોટરસાયકલ અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સંતરામપુર દવાખાનામાં સારવાર માટે લઈ જવાયો*
સુખસર,તા.10
ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન વાહન અકસ્માતોની સંખ્યા વધતી જાય છે.જેમાં કેટલાક નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.તેવી જ રીતે આજરોજ સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં વાંકાનેર ગામે બે મોટરસાયકલો વચ્ચે અકસ્માતમાં એક મોટરસાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું છે.જ્યારે બીજી મોટરસાયકલ ચાલકને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સંતરામપુર દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રાવળના વરુણા ગામે રહેતા કનુભાઈ રાણજીભાઈ મકવાણા ઉંમર વર્ષ આશરે 35 નાઓ આજરોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાના કબજાની મોટરસાયકલ નંબર જીજે-20-એસી.7534 લઈ મારગાળા ગામે સાસરીમાં જઈ રહ્યા હતા.તેવા સમયે વાંકાનેર ગામે સામેથી આવતી મોટરસાયકલ નંબર-જીજે-20-એપી.6793 ના ચાલકે પૂરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી કનુભાઈ મકવાણાની મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા કનુભાઈ મોટરસાયકલ પરથી ઉછળી રોડ ઉપર જોશ ભેર પટકાયા હતા. જેમાં કનુભાઈ મકવાણાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. જ્યારે સામે મોટરસાયકલ ચાલકને પણ શરીરે નાની મોટી ઇજા પહોંચતા તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.જ્યારે કનુભાઈ મકવાણાને સારવાર મળે તે પહેલા જ પ્રાણ-પખેરું ઉડી જવા પામ્યુ હોવાનું ફરજ ઉપરના તબીબે જણાવ્યું હતું.જ્યારે ઇજાગ્રસ્ત મારગાળાના યુવાનને સંતરામપુર દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. અકસ્માતમાં યુવાન જ્યોત યુવાન મોતને ભેટતા પરિવારમાં રોકકળ મચી જવા પામી છે જ્યારે ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત અકસ્માત સંદર્ભે સુખસર પોલીસે તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતક કનુભાઈ મકવાણાની લાશને સુખસર સરકારી દવાખાનામાં પીએમ અર્થે મૂકવામાં આવી હોવાનું જાણવા મળે છે.