![ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજમાં કુરિવાજો દૂર કરવા આગેવાની કરનાર આગેવાનો ને કેટલાક લોકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી..!? આદિવાસી સમાજમાં કુરિવાજો ને તિલાંજલિ આપવા બનાવેલા નિયમો વિરુદ્ધ જતા ઈસમો સામે ગુનો દાખલ કરાયો](https://dahodlive.com/wp-content/uploads/2024/02/Screenshot_20240210_082459_WhatsAppBusiness-770x377.jpg)
બાબુ સોલન્કી :- સુખસર
ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજમાં કુરિવાજો દૂર કરવા આગેવાની કરનાર આગેવાનો ને કેટલાક લોકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી..!?
આદિવાસી સમાજમાં કુરિવાજો ને તિલાંજલિ આપવા બનાવેલા નિયમો વિરુદ્ધ જતા ઈસમો સામે ગુનો દાખલ કરાયો
કુરિવાજો દૂર કરવા આગેવાનો સાથે હાજરી આપનાર આગેવાનને ડી.જે ચાલુ રાખવા ધમકી આપનાર બાર સાલેડા ના ચાર આરોપીઓ વિરુદ્ધ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી
સુખસર,તા.૯
આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી આવતા કુરિવાજોના કારણે સમાજ ગરીબીની ગર્તામાં ધકેલાતો જાય છે.ત્યારે હાલ આદિવાસી સમાજમાં જાગૃતિ આવતા સમાજના જાગૃત,સમજદાર અને સમાજને ગરીબીની ઊંડી ખાઈમાં ધકેલાતા બચાવવા અને સમાજને ઊંચો લાવવા રિવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને દૂર કરવા બિરસા મુંડા ભવન દાહોદના મંડળ દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લામાં વસવાટ કરતા આદિવાસીઓને કુરિવાજોની ઊંડી ખાઈ માંથી બહાર લાવવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં કેટલાક તત્વો આદિવાસી સમાજનાજ સમાજને વધુ ઊંડી ખાઈમાં ધકેલવાના પ્રયાસ કરતા હોવાનું અને સમાજ સુધારણના કામનું ગર્ભમરણ કરવા કામે લાગી ગયા હોવાનું પણ બનતા બનાવો ઉપરથી જાણવા મળી રહ્યું છે.
આદિવાસી સમાજના એક-એક સભ્યએ સમજી લેવાની જરૂર છે કે,આપણે આપણા ઘર,પરિવાર અને સમાજને કઈ દિશામાં લઈ જવો છે?તે પોતે નક્કી કરવું જોઈએ.તેમજ આદિવાસી સમાજમાં બનાવેલા અને સુધારેલા નીતિ નિયમો ની અવગણના કરતા એક પ્રકારે સમાજ વિરોધી લોકો સામે સમાજના જ લોકોને ધમકી આપતા ગુના નોંધાવાની શરૂઆત ફતેપુરા તાલુકા માંથી થઈ ચૂકી છે.તેવી જ રીતે ડી.જે ચાલુ રાખવા માટે ધમકી આપનાર ચાર ઈસમો વિરુદ્ધમાં ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.તેમાં જોઈએ તો ફતેપુરા તાલુકાના મેહુલકુમાર હુમાભાઈ તાવીયાડ સામાજિક કાર્યકર તરીકે કાર્યરત છે. અને જેઓ સમાજ માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરે છે.તેવી જ રીતે આદિવાસી સમાજમાં ફેલાયેલા કુરિવાજોને દૂર કરવા બિરસામુંડા ભવન દાહોદ મંડળને સહકાર આપી રહ્યા છે.અને જેઓ ફતેપુરા તાલુકાના. બારસાલેડા ગામના પોહટલી ફળિયા ના વતની છે.જેઓ એ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે,બારસાલડા ગામમાં સમાજના આગેવાનોએ ગામમાં આદિવાસી સમાજમાં લગ્નમાં દહેજ,દારૂ,ડી.જે જેવા ખોટા ખર્ચાઓ સદંતર બંધ કરવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો.જેનો વિરોધ કરી નાચતા જઈ મેહુલભાઈ તાવિયાડના ઘર આગળ આવી મેહુલભાઈને મા-બેન સમાણી બિભત્સ ગાળો આપી મેહુલ ભાઈ ને”તું ડી.જે બંધ કરવા માટે નિયમો બનાવે છે,પણ તારું આ ગામમાં નહીં ચાલે,આ ગામમાં ડી.જે ચાલુ રહેશે,તારે જે કરવું હોય તે કરી લેજે અને આ ગામમાં રહેવું હોય તો ડી.જે ચાલવા દેજે,નહીં તો તને પતાવી દઈશું”તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા મેહુલભાઈ તાવીયાડે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે મેહુલભાઈ તાવીયાડે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા,(૧)બચુભાઈ વરસીંગભાઇ કટારા(૨)બાબુભાઈ કાળુભાઈ કટારા(૩)કાળુભાઈ જગાભાઈ કટારા તથા(૪)રાહુલભાઈ માનસિંગ ભાઈ કટારા તમામ રહે. બાર સાલેડા તા.ફતેપુરા જી.દાહોદના ઓની વિરુદ્ધમાં આઇ.પી.સી કલમ-૫૦૪,૫૦૬(૨)તથા૧૧૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.