રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં વ્હોરા વેપારીના ઘરે ઇન્કમટેક્સ અધિકારીના સ્વાંગમાં આવેલા મહારાષ્ટ્રના ચાર ભેજાબાજોએ લૂંટ નો કર્યો પ્રયાસ: વેપારી દંપતીનો હિંમતભેર પ્રતિકાર, લૂંટારુંઓનો ભાગવાનો પ્રયાસ,બે ઝડપાયા અન્ય બે ફરાર
૨૫ હજારની રોકડ બે મોબાઇલ ફોન મળી કુલ ૪૫ હજાર રૂપિયાની મત્તાની લૂંટ
લૂંટ ના બનાવની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ,પોલીસ તલસ્પર્શી તપાસમાં જોતરાઇ
દાહોદ તા.૧૪
દાહોદ શહેરમાં આજરોજ વહેલી સવારના સમયે બનેલ બનાવને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ શહેરમાં આવેલ બુરહાની સોસાયટીમાં ઈન્કમટેક્ષના અધિકારીઓ હોવાનું કહી ચાર લુંટારૂઓ એક વ્હોરા પરિવારના ઘરમાં ઘુસી જઈ પરિવારને બાનમાં લઈ લુંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યાેં હતો. આ ઘટનાથી વાકેફ થઈ વ્હોરા સમાજના પરિવાર દ્વારા નકલી ઈન્કમટેક્ષ ઓફિસ બની આવેલ ચાર લુંટારૂઓનો પ્રતિકાર કરતાં જેમાંથી બે લુંટારૂઓને પરિવારજનો તેમજ બુમાબુમ થતાં આસપાસના લોકોએ ઝડપી પાડી બંન્ને લુંટારૂઓને બાંધી દઈ મેથીપાક ચખાડ્યો હતો. બનાવની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો પણ બુરહાની સોસાયટી તરફ દોડી આવ્યો હતો અને બંન્ને લુંટારૂઓને લઈ રવાના થઈ ગઈ હતી. જાણવા મળ્યાં અનુસાર, બંન્ને ઝડપી પાડવામાં આવેલ લુંટારૂઓને મેથીપાક ચખાડતાં બે પૈકી એક લુંટારૂને દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ લુંટારૂઓ મહારાષ્ટ્રના હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર બુરહાની સોસાયટી તેમજ દાહોદ શહેર પોલીસ મથકે વ્હોરા સમાજના તેમજ દાહોદ શહેરવાસીઓના ટોળે ટોળા વળી ગયાં હતાં.
કોરોનામાં મૃત્યુ પામનાર વેપારીના પિતાની ખબર કાઢવા આવેલા લૂંટારૂઓએ ઘરમાં પ્રવેશ કર્યા બાદ પ્રોત પ્રકાશ્યું: ઈન્કમટેક્ષ ઓફિસર હોવાનું કહી વેપારી પરિવારને નકલી બંદૂકના જોરે બાનમાં લઇ લૂંટનો પ્રયાસ
દાહોદ શહેરમાં આવેલ બુરહાની સોસાયટી ખાતે રહેતાં અને શહેરના ચાર થાંભલા સ્થિત ગુજરાત પ્લાયવુડ નામની હાર્ડવેરની દુકાન ધરાવતાં શબ્રીભાઈ ફિરોજભાઈ લેનવાલા પોતાના બુરહાની સોસાયટી સ્થિત સોસાયટી ખાતે આજરોજ તારીખ ૧૪.૦૯.૨૦૨૧ના રોજ પોતાના પરિવારજનો સાથે હાજર હતાં. શબ્બીરભાઈના પરિવારમાં તેમની પત્નિ ઝૈનબબેન, વિધવા માતા બાનુબેન અને સંતાનમાં બે પુત્રો હાજર હતાં. વહેલી સવારના ૦૯ વાગ્યાના આસપાસ્ પ્રથમ તો બે લુંટારૂઓ તેમના ઘરમાં પ્રવેશ્યાં હતાં અને જાણળા મળ્યાં અનુસાર, શબ્બીરભાઈ તથા તેમના પરિવારજને આ લુંટારૂઓએ પ્રથમ કહેલ કે, તેમના પિતા મૃત્ય પામ્યાં છે તો પરિવારની મુલાકાતે આવ્યાં છે. આ સાંભળી શબ્બીરભાઈએ પ્રથમ તો તેઓને ઘરમાં બેસાડ્યાં હતાં અને બાદમાં આ બે લુંટારૂઓ દ્વારા પોતે ઈન્કમટેક્ષના ઓફિસર હોવાનું કહી, ઘરમાં તપાસ કરવાની છે અને કાર્યવાહી કરવાની છે તેમ જણાવતાં શબ્બીરભાઈએ કહેલ કે, સારૂં મારા એક સ્વજનને ફોન કરી લઉં તેમ કહેતાં બંન્ને લુંટારૂઓએ શબ્બીરભાઈના કાન પર નકલી બંદુક ધરી દીધી હતી અને આજ સમયે અન્ય બીજા બે લુંટારઋઓ પણ મોકો જાેઈ ઘરમાં ઘુસી ગયાં હતાં અને ચારેય લુંટારૂઓએ લુંટ ચલાવવાની કોશિષ કરતાં હતાં. પરિસ્થિતીને ભાળી જઈ શબ્બીરભાઈ તથા તેમના પત્નિએ ચારેય લુંટારૂઓનો પ્રતિકાર કરતાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયાં હતાં અને બુમાબુમ પણ થઈ ગઈ હતી. ઝપાઝપી થતાં ચાર પૈકી બે લુંટારૂઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં.
દીનદહાડે લૂંટને અંજામ આપવા આવેલા લુટારુઓએ સાથે વેપારી દંપતીએ હિંમતભેર બાથ ભીડી: પરિણામ સ્વરૂપ બે લૂંટારૂઓ ઝડપાયા, બે ફરાર
ઇન્કમટેક્સ અધિકારીઓનો સ્વાંગ રચી આવેલા લૂંટારુઓએ શબ્બીરભાઈના લમણે રમકડાંની બંદૂક ટેકવી દીધી હતી. જોકે સબીરભાઈ તેમજ તેમની પત્નીએ લૂંટારૂઓ થી ડર્યા વગર લૂંટારૂઓ સાથે હિંમતભેર બાથ ભીડી પ્રતિકાર કર્યો હતો. જોકે બે લુંટારૂઓને શબ્બીરભાઈ તથા તેમની પત્નિએ દબોચી લીધાં હતાં અને બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, ઝડપાયેલ બંન્ને લુંટારૂઓને પરિવાર અને સ્થાનીકો દ્વારા ઝડપી પાડ્યાં બાદ તેઓને બાંધી મેથીપાક પણ ચખાડ્યો હતો. ઘટનાની જાણ દાહોદ શહેર પોલીસને કરાતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતો અને બંન્ને લુંટારૂઓને લઈ રવાના થઈ ગઈ હતી. બે પૈકી એક લુંટારૂઓને મેથીપાકને પગલે દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ઈન્કમટેક્ષ ઓફિસર નો સ્વાંગ રચી લૂંટના ઇરાદે આવેલા લૂંટારું પાસેથી ઇન્કમટેક્સ વિભાગનો આઈ કાર્ડ મળી આવ્યા
સમગ્ર ઘટનામાં નકલી ઈન્કમટેક્ષ ઓફિસર બની આવેલ આ બંન્ને લુંટારૂ પાસેથી નકલી ઈન્કમટેક્ષ આઈડી કાર્ડ, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજાે પોલીસને મળી આવ્યાં હતાં.જોકે ઇન્કમ ટેક્સ વિભાગના આઈ કાર્ડ તેમજ આધારકાર્ડ પાનકાર્ડમાં એક જ વ્યક્તિના બે જુદા જુદા નામ હોવાથી ભેજાંબાજ લૂંટારૂઓએ બોગસ નામનો બોગસ આઈકાર્ડ કાર્ડ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
લૂંટારુઓ સાથે ઝપાઝપીનો મામલો ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ: વોરા વેપારીના પરિવારની અંગત માહિતી કેવી રીતે પહોંચી..?? તપાસનો વિષય
આ સમગ્ર ઘટના બુરહાની સોસાયટી સ્થિત સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગયાં હતાં બીજી તરફ આ ઘટનામાં મુખ્યત્વે લુંટારૂઓ મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે ત્યારે આ દાહોદના વ્હોરા પરિવારમાં સદસ્યનું મૃત્યુ થયું હોય અને પરિવારની મુલાકાતે આવ્યાં હોવાનું સામે આવતાં લુંટારૂઓને કેવી રીતે ખબર પડી હશે કે, આ વ્હોરા પરિવારમાં સદસ્યનું મૃત્યું થયું હતું અને તેઓને કેવી રીતે ખબર પડી તે પણ એક પોલીસ તપાસનો વિષય બની રહ્યો છે પરંતુ જે કંઈપણ હોય આ ઘટના હાલ સમગ્ર દાહોદ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન રહેવા પામી છે અને પોલીસે પણ તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી ગુન્હાનો મુળ હેતુ શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યાં છે.
દાહોદ શહેર પોલીસે ચારે લુટારુઓ વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધ્યો, ૨૫ હજારની રોકડ રકમ, બે મોબાઇલ ફોન મળી કુલ ૪૫ હજાર ઉપરાંતની લૂંટ ચલાવાઇ
દાહોદ શહેરના બુરહાની સોસાયટીમાં એક વ્હોરા પરિવારના ઘરમાં નકલી ઈન્કમટેક્ષ ઓફિસ બની આવેલ ચાર પૈકી બેને પરિવારજનો અને સ્થાનીકો દ્વારા ઝડપી પડાયાં બાદ આ મામલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ઝડપી પાડવામાં આવેલ આરોપીઓ પૈકી (૧) સચીનભાઈ રોહીતદાસ વાઘમારે (રહે. વાસીમ, તા.રીસોડ, જિ.વાસીમ, મહારાષ્ટ્ર) અને (૨) વિવેક માધવરાવ દેશમુખ (રહે. દિવાની, તા.રીસોડ, જિ.વાસીમ, મહારાષ્ટ્ર) ને બંન્નેની પોલીસે અટકાયત કરી છે. આ બે પૈકી એકને સ્થાનીકો દ્વારા મેથીપાક ચખાડતાં વિવેક માધવરાવ દેશમુખને દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે જ્યારે ફરાર એવા ભાગવત અલકોર (રહે. દિવાની, મહારાષ્ટ્ર) અને ઈરસાદ મુસલમાન (રહે. રીસોડ, મહારાષ્ટ્ર) ની પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. પોલીસે ઝડપી પાડવામાં આવેલ બંન્ને ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૨૫,૦૦૦ અને બે મોબાઈલ મળી કુલ રૂા.૪૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાેં છે.