
જીગ્નેશ બારીયા/રાજેશ બારીયા :- દાહોદ
દાહોદમાં વાહન ચોરોને મોકળું મેદાન..વાહનચોર ટોળકીએ એક જ દિવસમાં પાંચ મોટરસાઇકલોની કરી ઉઠાંતરી: પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ..!!
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાંથી એકજ દિવસમાં એકસાથે ૦૪ મોટરસાઈકલ અને દેવગઢ બારીઆ તાલુકામાં એક મળી જિલ્લામાંથી કુલ ૦૫ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં વાહન ચાલકોમાં ફફડાટ સાથે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
મોટરસાઈકલ ચોરોનો આતંક ફરી દાહોદ જિલ્લામાં વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ શહેરમાંથી એક સાથે ૦૪ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદ શહેરના સહકાર નગરમાં રહેતાં વિનોદભાઈ બાબુભાઈ જાટવાની મોટરસાઈકલ તેઓના ઘરના આંગણેથી ચોરી થઈ છે જ્યારે મોહમ્મદ સુફીયાન અનવરભાઈની, મિયોમહેમુદશાહની ઈન્દૌર – અમદાવાદ હાઈવે પરથી, ઈમ્તિયાઝભાઈ ગનીભાઈની મોટાઘાંચીવાડામાંથી અને હર્ષભાઈ આશીષભાઈ કાબરાવાળાની હનુમાન બજારમાંથી તારીખ ૦૮મી ઓગષ્ટના રોજ આ મોટરસાઈકલો અલગ અલગ સમયગાળા દરમ્યાન ચોરી થતાં આ સંબંધે વિનોદભાઈ બાબુભાઈ જાટવાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ભડભા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૭મી ઓગષ્ટના રોજ ભડભા ગામે પટેલ ફળિયામાં રહેતાં દિનેશભાઈ પુનાભાઈ પટેલે પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે દિનેશભાઈ પુનાભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
—————————–