
દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ધરણા યોજાયા,પડતર માંગ પૂર્ણ કરવા તબક્કાવાર આંદોલન કરાશે
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે જિલ્લામાં ધરણા પ્રદર્શન, મૌન ધરણા જેવા વિવિધ કાર્યક્રમો યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. પોતાની માંગણી સત્વરે સ્વીકારવામાં આવે તેવી લાગણી અને માંગણી જિલ્લાના શૈક્ષણિક આલમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.
રાજ્ય કક્ષાની સૂચના મુજબ કાર્યક્રમ યોજાયો.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશથી દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘન સંકલન સમિતિની સુચના મુજબ તેઓના વિવિધ પડતર પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન આવતાં શૈક્ષણિક વિભાગના કર્મચારીઓ ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાનું નક્કી કર્યુ હતું. જેમાં આજરોજ દરેક તાલુકા મથકોએ જાહેર સ્થળ પર ગુજરાતની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના સંચાલક, આચાર્ય, શિક્ષક વિગેરે શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા ધરણા, મૌન ધરણા કાર્યક્રમ યોજ્યાં હતાં. આજરોજ આ કર્મચારીઓ પોતાના કામકાજથી અળગા રહ્યાં હતાં.
17 ઓગસ્ટે કાળા વસ્ત્રો પહેરી વિરોધ કરાશે.
છઠ્ઠા તબક્કાનો આગામી તારીખ 17મી ઓગષ્ટના રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં શૈક્ષણિક વિભાગના કર્મચારીઓ કાળા વસ્ત્રો ધારણ કરી ફરજ બજાવનાર છે. આગામી 15મી ઓગષ્ટના દિવસે રાષ્ટ્રીય પર્વની ઉજવણી રાબેતા મુજબ કરવામાં આવશે જ્યારે અન્ય કામગીરી આ કર્મચારીઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવનાર છે. આજના ધરણા, મૌન ધરણા કાર્યક્રમમાં દાહોદ, દેવગઢ બારીઆ, લીમખેડા, ગરબાડા જેવા તાલુકાઓમાં કાર્યક્રમો યોજાયાં હતાં.