ગુજરાતનો સૌપ્રથમ કેસ:કોરોનાના દર્દીમાં ઓક્સિજન વધારતું કોકટેલ ઇન્જેક્શન દાહોદની મહિલાને અપાયું, એક ડોઝની કિંમત 60,000 રૂપિયા
ઇન્જેક્શન લીધા બાદ માંડ 5 કલાકના સમયગાળામાં જ કોરોનાગ્રસ્ત મહિલાનું ઓક્સિજન લેવલ પણ વધીને 98 થઇ ગયું
સ્વીડનની કંપનીએ તૈયાર કરેલા એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન દાહોદની વડોદરા સ્થિત 54 વર્ષીય મહિલાને આપવાનો પ્રયોગ સફળ
દાહોદ તા. 01
પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન મુકાવ્યું હતું તેનો સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ પ્રયોગ વડોદરા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દાહોદની મહિલા પર કરવામાં આવ્યો, જે સફળ રહ્યો છે.સ્વીડનની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન, કોરોના અને ડાયાબિટીસ એમ બે વ્યાધિથી પીડાતી મૂળ દાહોદની વડોદરા સ્થિત 54 વર્ષીય મહિલાને આપવાનો પ્રયોગ સફળ રહ્યો છે.
સરકાર તરફથી 14 ઇન્જેક્શન આવ્યા હતા
વિદેશમાં કોરોનાની સારવાર પામતા લોકોને ઝડપી રીકવરી માટે આ ઇન્જેક્શન આપવાનો પ્રયોગ સફળ રહ્યા બાદ ભારતમાં પણ તેના વપરાશને લીલી ઝંડી મળી છે, ત્યારે વડોદરાની 4 ખાનગી હોસ્પિટલોમાં ગુરુવારના રોજ 14 એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન આવ્યા હતા. જે પૈકી રાજ્યમાં સૌપ્રથમ ઇન્જેક્શન હાલ પોતાના પુત્ર સાથે વડોદરાના ઈલોરા પાર્કમાં રહેતા મૂળ દાહોદના દરજી સમાજના 54 વર્ષીય મહિલા વર્ષાબેન નરેન્દ્રભાઈ પરમારને અપાયું છે.
મહિલાના ફેફસામાં 20 ટકા ઇન્ફેક્શન હતું
પ્રાપ્ત માહિતી અનુસાર 400 ડાયાબિટીસથી પીડાતા આ મહિલા ફેફસામાં 20% ઇન્ફેક્શન સાથે ગુરુવારે સાંજે જ વડોદરાની ખાનગી એવી અમન હોસ્પિટલમાં દાખલ થયા હતા. બાદમાં તબીબો દ્વારા આ ઇન્જેક્શન વિશેની તમામ માહિતીથી આ મહિલાના પુત્ર અને દીકરી- જમાઈને અવગત કરાયા બાદ શુક્રવારે સાંજે આ મહિલાને આ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. અને આ ઇન્જેક્શન લીધા બાદ માંડ 5 જ કલાકમાં આ મહિલાનું ઓક્સિજન લેવલ પણ વધીને 98 પહોંચી જવા પામ્યું છે.
કોરોના નિદાનના 72 કલાકમાં ડોઝ અપાય તો દર્દીને 75% જોખમ ઘટી જાય છે
મહામારી કોરોના વાઇરસના સંક્રમણથી પીડિત દર્દીના આ ઈન્જેકશનના એક ડોઝની કિંમત જ રૂ.60,000 થાય છે. પણ માહિતી મુજબ કોરોનાગ્રસ્ત દર્દીમાં ઓક્સિજનનું લેવલ વધારવા માટે બે ઈન્જેક્શનોના મિશ્રણથી બનતા એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શનનો એક ડોઝ જ અસરકારક નિવડે છે. અને કોરોના થયા બાદ 72 કલાકમાં જો તેનો ડોઝ અપાઈ જાય તો દર્દીને જે જોખમ હોય છે તે 75 % જેટલું ઘટી જાય છે.
તબીબે આ ઈન્જેક્શનની વાત કરતા દીકરી-જમાઈએ તે મૂકવા મંજૂરી આપી
કોકટેલ ઈન્જેકશન વિશે તબીબોએ આગ્રહ કરતા અમે ઇન્જેક્શન મુકાવ્યું :- નરેન્દ્ર ભાઈ પરમાર મહિલાના પતિ
મારી પત્નીને ગુરુવારે કોરોના છે તેમ ખબર પડતાં જ મારા દીકરી-જમાઈ અને દીકરો તેને વડોદરાની અમન હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યા તે સમયે જ તબીબે આ ઈન્જેક્શનની વાત કરતાં દીકરી-જમાઈએ તે મુકવા માટે મંજૂરી આપી અને ઇન્જેક્શનનો ડોઝ લીધાના માત્ર 4-5 કલાકમાં જ મારી પત્નીનું ઘટેલું ઓક્સિજન લેવલ વધીને 98 થઇ ગયું. ત્રણ દિવસે હવે મારી પત્ની એકદમ સ્વસ્થ છે અને એક-બે દિવસમાં તેને ડિસ્ચાર્જ પણ કરવામાં આવનાર છે.