
નીલ ડોડીયાર :- દાહોદ
દે.બારીયા નગરમાંથી 4 નરાધમોએ પૂર્વ આયોજીત કાવતરું રચી ધોળે દહાડે ભરબજારમાંથી પરણિતાનું અપહરણ કરતા ખળભળાટ:
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાંથી એક પરણિતાને ચાર જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પુર્વ આયોજીત કાવતરૂં રચી પરણિતાનું અપહરણ કરી કોઈક સ્થળે ગોંધી રાખતાં આ સંબંધે પરણિતાના પતિ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૦૭.૦૮.૨૦૨૧ના રોજ સવારના સાડા અગીયાર વાગ્યાના આસપાસ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક પરણિતાન કોઈ કામ અર્થે દેવગઢ બારીઆ બજારમાં આવી હતી. આ દરમ્યાન દેવગઢ બારીઆ તાલુકાના દુધિયા ગામે નદી ફળિયામાં રહેતાં ભુપતભાઈ ગલાભાઈ રાઠવા, મુકેશભાઈ ભુપતભાઈ રાઠવા, પરસોત્તમભાઈ મોહનભાઈ રાઠવા અને હિંમતભાઈ નવલસિંહ રાઠવાનાઓએ પરણિતાનું અપહરણ કરી કોઈક જગ્યાએ ગોંધી રાખી હતી.
આ સંબંધે પરણિતાના પતિએ ઉપરોક્ત ચારેય જણા વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————-