રાજેશ વસાવે :- દાહોદ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના ભાનપુરા-ગોધરા ઇન્ટરચેન્જ માર્ગ પર અકસ્માતો વધતા ચિંતાજનક પરિસ્થિતિ.
અનધિકૃત રીતે શરૂ થયેલા માર્ગ પર વાહનવ્યવહાર વધતા સુરક્ષાને લઈને સવાલો;
રસ્તા પર મૂકાયેલા સ્લીપર સાથે અથડાતા ચાર વાહનો અકસ્માતગ્રસ્ત
દાહોદ તા.31

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ નંબર 27 અને 28 હેઠળ લીમખેડાના ભાનપુરાથી ગોધરા ઇન્ટરચેન્જ વચ્ચે બનાવવામાં આવેલા માર્ગનો અનધિકૃત રીતે વાહનવ્યવહાર માટે ઉપયોગ શરૂ થયા બાદ હવે માર્ગની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. થોડાક દિવસ પૂર્વે આ મામલે રિયાલીટી ચેક દરમિયાન વાહનવ્યવહાર થતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ માર્ગનો ઉપયોગ કરતા વાહનોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જોકે માર્ગ હજી સત્તાવાર રીતે સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો ન હોવા છતાં લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિકનું પ્રમાણ ઓછું હોવાથી કેટલાક વાહનચાલકો વધુ ઝડપે વાહન ચલાવતા હોવાના કારણે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે.

જેમાં ગોધરા ઇન્ટરચેન્જ તરફના માર્ગ પર ગઈકાલે રાત્રે એક પછી એક ચાર વાહનો અકસ્માતગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. જેમાં એક વાહન પલટી ખાઈ ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે. અકસ્માતમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.પ્રાથમિક રીતે જાણવા મળ્યા મુજબ, માર્ગની વચ્ચે આડાશરૂપે મૂકવામાં આવેલા સ્લીપર સાથે વાહનો અથડાતા અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

*અધૂરા માર્ગ પર આડાશ અંગે પણ સવાલો.!*
હાઇવેનું કામ હજી પૂર્ણ થયું નથી અને માર્ગ સત્તાવાર રીતે શરૂ થયો નથી તેવા સંજોગોમાં રસ્તા પર વિવિધ સ્થળોએ બાંધકામ, રિપેરિંગ અથવા ડાયવર્ઝન સંબંધિત આડશો હોવાની શક્યતા રહે છે. આવા સ્થળોએ વાહનચાલકોને અગાઉથી સાવચેત કરવા માટે યોગ્ય બેરિકેડિંગ, રિફ્લેક્ટર અને દિશાસૂચક સૂચનાઓ જરૂરી બની જાય છે.એક તરફ વાહનચાલકોની બેદરકારીથી વધુ ઝડપે વાહન ચલાવવાનું જોખમ છે, તો બીજી તરફ માર્ગનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર અને માર્ગ નિર્માણ કરતી એજન્સી દ્વારા પણ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

*મોટી દુર્ઘટના પહેલાં સાવચેતી જરૂરી.!*
આ માર્ગ પર અગાઉ પણ અકસ્માતોની ઘટનાઓ સામે આવી હોવાના અહેવાલો છે. ત્યારે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં માર્ગ પર જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.જો માર્ગ હજી સત્તાવાર રીતે શરૂ થયો ન હોય તો જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને સંપૂર્ણપણે બંધ રાખવો અથવા વાહનવ્યવહાર થઈ રહ્યો હોય તો જોખમી સ્થળોએ મૂકાયેલી આડશો દૂર કરી યોગ્ય બેરિકેડિંગ, રિફ્લેક્ટર અને ચેતવણીના બોર્ડ લગાવવા જરૂરી છે.સાથે જ વાહનચાલકોએ પણ આ માર્ગ સત્તાવાર રીતે શરૂ ન થયો હોવાની હકીકત ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. માર્ગનો ઉપયોગ કરવો પડે તો નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી ઝડપે વાહન ચલાવી આગળ કોઈ આડાશ, ડાયવર્ઝન કે બાંધકામની કામગીરી હોઈ શકે છે તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.જનહિતમાં માર્ગની સુરક્ષા વ્યવસ્થાની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે અને વાહનચાલકોની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી બન્યું છે.
