દાહોદમાં જમીન રેકર્ડ શાખાની કામગીરી:પારદર્શક, ઝડપી અને નાગરિકલક્ષી સેવાઓ તરફ મહત્વપૂર્ણ પગલું.!

Editor Dahod Live
2 Min Read

દાહોદમાં જમીન રેકર્ડ શાખાની કામગીરી:પારદર્શક, ઝડપી અને નાગરિકલક્ષી સેવાઓ તરફ મહત્વપૂર્ણ પગલું.!

જમીન સર્વે ભવન દાહોદ ખાતે રેવન્યુ તલાટીઓની તાલીમ યોજાઈ.

સુખસર,તા.૪

જિલ્લા વહીવટી તંત્ર હેઠળ કાર્યરત જમીન રેકર્ડ શાખા દ્વારા જમીન સંબંધિત સેવાઓને વધુ પારદર્શક, સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવવા માટે વિવિધ પ્રક્રિયાઓ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવતી હોય છે. 

દાહોદ જમીન સર્વે ભવન ખાતે નવા ભરતી થયેલ રેવન્યુ તલાટીઓ માટે ૨૧ દિવસની રેગ્યુલર તાલીમ યોજાઈ રહી છે. જેમાં ૧૧૧ નવનિયુક્ત મહેસૂલી તલતીઓએ તાલીમ લઈ રહ્યા છે.જેમાં જમીનના ચોક્કસ સર્વેક્ષણથી લઈને રેકોર્ડ અપડેટ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી કઈ રીતે કરવામાં આવે છે, એ અંગે વિસ્તાર પૂર્વક અને તાલીમ બદ્ધ રીતે માસ્ટર્સ ટ્રેનર્સ થકી તાલીમ આપવામાં આવી રહી છે. જેના પરિણામે નાગરિકોને ઝડપી અને વિશ્વસનીય સેવાઓ મળી રહી છે.

તાલીમ દરમિયાન મહેસૂલ વિભાગના અનુભવી અધિકારીઓ અને વ્યાખ્યાતાઓ દ્વારા ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯, વિવિધ સરકારી જોગવાઈઓ, તલાટી કમ મંત્રી દ્વારા નિભાવવામાં આવતી જવાબદારીઓ, રેકોર્ડ સંભાળવાની પદ્ધતિ, ઓનલાઈન સેવાઓ, નાગરિક કેન્દ્રિત સેવા પ્રદાન તેમજ શાસનની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. 

જમીન રેકર્ડ શાખાની કામગીરીમાં જમીનની માપણી, નકશા તૈયાર કરવાં, હદપત્રક તૈયાર કરવું, જમીન રેકોર્ડનું ડિજિટાઇઝેશન તથા જમીન સંપાદન માટેની માપણી જેવી મહત્વપૂર્ણ કામગીરીનો સમાવેશ થાય છે.

જમીન સંબંધિત અરજીઓની સ્વીકૃતિ બાદ જરૂરી દસ્તાવેજોની ચકાસણી, સ્થળ તપાસ, મંજૂરી પ્રક્રિયા, રેકોર્ડ અપડેટ તેમજ અંતે આદેશ જારી કરવાની કામગીરી નિયમબદ્ધ રીતે હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા જમીનના રેકોર્ડને વધુ ચોકસાઈપૂર્ણ અને અદ્યતન બનાવવામાં આવે છે.

આ વ્યવસ્થાના પરિણામે નાગરિકોને જમીનના સાચા અને વિશ્વસનીય રેકોર્ડ સરળતાથી ઉપલબ્ધ થાય છે, માહિતીમાં પારદર્શિતા વધે છે, બેંક લોન મેળવવામાં સહાય મળે છે, જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો થાય છે તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સમયસર લાભ પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે.કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી અને વ્યવહારુ ઉદાહરણો દ્વારા તાલીમાર્થીઓની શંકાઓનું સમાધાન પણ કરવામાં આવી રહ્યું છે, જેથી તેઓ પોતાના કાર્યસ્થળે વધુ અસરકારક રીતે કામગીરી કરી શકે.

 જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જમીન સંબંધિત કામગીરી માટે સેવાઓનો ઝડપી અને સરળ લાભ મેળવી શકાય એ માટે તલાટીશ્રીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુથી તાલીમ આપવામાં આવી રહી છે.

Share This Article