બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરામાં કબ્રસ્તાન સામે ગેરકાયદે ડમ્પિંગ યાર્ડ હટાવવા મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર અપાયું*
સુખસર,તા.26

ફતેપુરા નગરમાં મુસ્લિમ ઘાંચી સમાજના કબરસ્તાન અને તળાવની જમીન પર ચાલી રહેલા ગેરકાયદે ડમ્પિંગ યાર્ડના કારણે સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ જનહિતના પ્રશ્ન અંગે મુસલમાન ઘાંચી સમાજ પંચ અને મુસલમાન વક્ફ ટ્રસ્ટ દ્વારા ફતેપુરાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને આવેદનપત્ર પાઠવી તાકીદે આ સ્થળ બદલવા રજૂઆત કરવામાં આવી છે.
ધાર્મિક લાગણી દુભાઈ નહીં અને જાહેર આરોગ્ય જોખમમાં મુકાઈ નહીં તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ફતેપુરા,કરોડીયાપૂર્વ અને કાળીયા વલુંડા ગ્રામ પંચાયત દ્વારા તળાવની જમીન પર આડેધડ કચરો અને મરેલા પશુઓ નાખવામાં આવે છે.જેના કારણે ફેલાતી અસહ્ય દુર્ગંધ અને ઉડતા કચરાથી કબરસ્તાનની પવિત્રતા જોખમાઈ રહી છે.અને મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે.આ ડમ્પિંગ યાર્ડની બાજુમાંથી જ સિવિલ કોર્ટ,વીજ કચેરી અને સરકારી વિજ્ઞાન શાળા તરફ જતો મુખ્ય બાયપાસ રોડ પસાર થાય છે. રસ્તા પર જ કચરો ઠાલવવામાં આવતો હોવાથી રોજ હજારો મુસાફરો,સરકારી કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓને આ નરકાગારમાંથી પસાર થવું પડે છે.
કાયદાનું ઉલ્લંઘન અને વચગાળાના ઉકેલની માગ સરકારી નિયમો અનુસાર તળાવની જમીનનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ થઈ શકતો નથી.છતાં અહીં ગેરકાયદે ડમ્પિંગ યાર્ડ બનાવી નિયમોનું ઉલ્લંઘન કરાયું છે.જ્યાં સુધી કાયમી જગ્યા ન મળે ત્યાં સુધી વચગાળાના ઉકેલ તરીકે નીચે મુજબની માગણી કરવામાં આવી છે.
હાલનો તમામ કચરો ઝાલોદ અથવા સંતરામપુર નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં ખસેડી સફાઈ કરવી,
કચરા નિકાલ માટે ઊંડો ખાડો ખોદી કામ ચલાઉ રસ્તો બનાવવો જેથી દુર્ગંધ અને કચરો બહાર ન ફેલાય.
સમાજના હોદ્દેદારોએ આ ગંભીર પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે તાલુકાના અધિકારીઓને ત્રણેય ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટીઓ સાથે સંયુક્ત મીટિંગ બોલાવવા વિનંતી કરી છે.આ પત્રની નકલ કલેક્ટર અને ડીડીઓ (દાહોદ)ને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.
