અનોખી પરંપરા : ગરબાડા તાલુકાના ગામડાઓમા સારા વરસાદ અને સુખ સમૃદ્ધિ માટે આજે પણ કરવામાં આવે છે ડાળાની વિધિ

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

અનોખી પરંપરા : ગરબાડા તાલુકાના ગામડાઓમા સારા વરસાદ અને સુખ સમૃદ્ધિ માટે આજે પણ કરવામાં આવે છે ડાળાની વિધિ

દાહોદ તા. ૨

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. તેઓની વર્ષોથી ચાલતી આવતી આગવી અને અનોખી પરંપરાઓ આજે પણ યથાવત રીતે જોવા મળતી હોય છે. જેમાંની એક ડાળાની વિધિની પરંપરા આજે પણ અકબંધ છે.

*ડાળાની પરંપરા અતિ પ્રાચીન છે*

જેમાં આદિવાસી સમાજના લોકો આ ડાળા વિધિ પોતાની લીધેલી બાધા માનતા તેમજ ગામની સુખ અને સમૃદ્ધિ અને વરસાદ સારો થાય તે માટે આ ડાળા વિધિમાં ભગવાન ઈન્દ્રની પૂજા કરતા હોય છે.જે ડાળા વિધિ વ્યક્તિ પોતાની સગવડ પ્રમાણે કરતા હોય છે.

*દસથી બાર માટીના ઘડા ખરીદવામા આવે છે*

ડાળા વિધિમાં ગામ લોકો પરંપરાગત રીતે આજુબાજુ પંથકમાં કુંભારને ત્યાંથી પોતાની માનતા પ્રમાણે 10થી 12 ઘડા ખરીદતા હોય છે.આ ઘડામાં ચાંદીની કલમ તેમજ સાંકળી મૂકીને છોકરા છોકરીઓ એક હરોળમાં પોતાના ગામ સુધી પગપાળા વાંજતે ગાજતે લઈ જતા હોય છે. રાત્રી દરમિયાન આદિવાસી શૈલીના ગીતો ગવાય છે. આ ડાળા વિધી આખી રાત ચાલે છે અને ગામમાં મેળા જેવો માહોલ સર્જાતો હોય છે.

*દસ દિવસ સુધી ગામમાં લગ્ન કરાતા નથી*

વહેલી પરોઢે ભોગ કરવામાં આવે છે. દરમિયાન ગામમાં ડાલું બેસાડવામાંઑ આવે તે દરમિયાન દસ દિવસ સુધી ગામમાં લગ્ન થતાં નથી. અંતે નદી અથવા તળાવમાં આ ડાળાઓનું વિસર્જન કરવામાં આવે છે.આ પરંપરા વર્ષો જુની છે જે આજે પણ યથાવત છે.

Share This Article