ગરબાડાના ઝરીખરેલીમાં ઢોર ચરાવવા ગયેલા ત્રણ બાળકો નદીના કોતરમાં આવેલા પાણીના પ્રવાહમાં તણાયા:એકનું મોત:બેનો આબાદ બચાવ

Editor Dahod Live
1 Min Read

      રાજ ભરવાડ @ દાહોદ 

દાહોદ તા.06

ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામની સીમમાં આવેલા નદીની કોતરમાં અચાનક વરસાદી પાણી આવી જતા ઢોર ચરાવવા ગયેલા ત્રણ કિશોરો પાણીના વહેણમાં તણાઈ ગયા હતા.જોકે પાણીના પ્રવાહમાં ૧૩ વર્ષીય બાળકનું મોત નિપજવા પામ્યું છે. જ્યારે બે બાળકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ઝરી ખરેલી બારીયા ફળિયાના રહેવાસી લલ્લુભાઇ બારીયાનો આઠમા ધોરણમાં અભ્યાસ કરતો પુત્ર હરીશ ઉ.વર્ષ 13 તેના અન્ય સાથી બાળકો જોડે આજરોજ બારીયા ફળિયા નજીક નદીની કોતર બાજુ ઢોર ચરાવવા ગયો હતો. તે સમયે નદીની કોતરમાં હરીશ અને અન્ય બે બાળકો પાણીના પ્રવાહમાં તણાતા બૂમાબૂમ થઈ ગઈ હતી. તે સમયે ભેગા થયેલા આસપાસના લોકોએ બે બાળકોને હેમખેમ બચાવી લીધા હતા. પરંતુ હરીશ કોતરના પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. ત્યારબાદ ગામલોકોએ થોડીક જહેમત બાદ હરીશનો મૃતદેહ બહાર કાઢી આ બનાવ સંબંધે ગરબાડા પોલીસ મથક તેમજ હરીશના પરિવારજનોને કરતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા જામ્યા હતા. ઘટના સ્થળ પર પહોંચેલી ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ પી.કે.જાદવ સહીત સ્ટાફના માણસોએ  હરીશના મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો,જ્યાં મૃતકના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Share This Article