
રાજેશ વસાવે :- દાહોદ
*વર્ષ ૨૦૧૯ થી સતત પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક ૨ લાખનો નફો મેળવતા દાહોદના પટેલ રાજુભાઈ*
*મોડેલ ફાર્મ માટે રૂ. ૧૩,૫૦૦ , ડ્રમ લાવવા માટે રૂ. ૬૦,૦૦૦ , ગાય નિભાવ ખર્ચ માટે દર ૬ મહીને રૂ. ૫,૪૦૦ ની આર્થિક સહાય મળી છે.*
*રસાયણ આપણા શરીરમાં ખોરાક થકી જ પ્રવેશે છે, જે લાંબા ગાળે ગંભીર રોગ બનીને આપણને કમજોર કરી નાખે છે. જે નાની ઉમરે જ ગંભીર રોગો થવાનું મૂળ કારણ છે.-પટેલ રાજુભાઈ*
દાહોદ તા. ૨૧
પ્રાકૃતિક ખેતી એ આવનાર પેઢીના સારા સ્વાસ્થ્ય માટેની પ્રાથમિક જરૂરિયાત છે. આ પદ્ધતિ અપનાવવાથી જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા વધતા પાક સારો મળે છે. પ્રાકૃતિક ખાતરની ગંધ આવતા જ જમીનમાં અળસીયા પોતાનું ઘર કરે છે. અળસિયા દિવસમાં કેટલીયે વાર અંદર – બહાર કરે છે, જેના કારણે જમીનમાં છિદ્રો બને છે. એ છીદ્રોમાં પાણી જમીનની અંદર ઉતરતા જમીન પોચી બનતા ભેજનું પ્રમાણ વધે છે, જે પાણીની અછતની સમસ્યા નિવારી શકે છે.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામના રહેવાસી ૪૧ વર્ષીય પટેલ રાજુભાઈ વર્ષ ૨૦૧૭ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે સુભાષ પાલેકરના વિચારો થકી પ્રાકૃતિક અપનાવી હતી. વર્ષ ૨૦૧૯ દરમ્યાન તેઓ આત્મા પ્રોજેક્ટ વિશે માહિતી મળતા આત્મા તરફથી અલગ – અલગ જિલ્લાઓમાં પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધો હતો. એમણે કહ્યું હતું કે, એસ.પી.કે. દ્વારા પણ હરિયાણા અને પંજાબ જેવા અન્ય રાજ્યોમાં પણ તાલીમ મળતાં પ્રાકૃતિક ખેતીની મહત્વત્તા સમજાઇ હતી.
ખેડૂતશ્રી પટેલ રાજુભાઈ જણાવે છે કે, બસ થોડી જાત મહેનત અને કોઇપણ જાતના રસાયણ ખાતર, દવા કે બિયારણ વગર જો શુદ્ધ ને પૌષ્ટિક ખોરાક મળતો હોય, પાકનું ઉત્પાદન વધુ મળતું હોય, આપણી આર્થિક સ્થિતિ પણ જો મજબુત બનતી હોય ને વધારામાં સરકાર તરફથી જો આર્થિક સહાય પણ મળતી હોય તો પછી પ્રાકૃતિક ખેતી જ કેમ ન અપનાવીએ..!
રાજુભાઈ શિયાળા ઋતુ સમયે મકાઈ, ઘઉં, ચણા, મગફળી, કપાસ અને ઉનાળા ઋતુમાં વિવિધ શાકભાજી જેવા કે, ગુવાર, ભીંડા, ચોળી, મરચી, મગફળી, મગ, ટમેટા તેમજ ચોમાસા દરમ્યાન મકાઈ, ડાંગર, અડદ, સોયાબીન જેવા પાક સાથે જામફળી, આંબા જેવા ફળાઉ પાકો પણ કરે છે. હાલ એમના ખેતરમાં ૩૦ આંબા, ૫ કાજુ, ૬ ચંદન, ૧ મોસંબી તેમજ ખેતરની ફરતે સાગના છોડ કરેલા છે એ સાથે કોબીજ, સૂરણ, તાંદલજા ભાજી, રીંગણ, ગલકા, કરેલા, કોળું, દુધી, ભીંડા, મરચી, ચોળી જેવા શાકભાજી પણ છે. તેઓ જણાવે છે કે, આ બધું કરતા મને વાર્ષિક ૨ લાખનો ચોખ્ખો નફો મળે છે. જે રસાયણ પદ્ધતિ કરતા ઘણો જ વધારે નફો છે.
વધુમાં જણાવ્યુ હતું કે, રાસાયણિક પદ્ધતિમાં ખાતર, દવા અને બિયારણ ખર્ચ સહિત એ બધુ લાવવાનો ખર્ચ, મજુરી ખર્ચ, દવાના છંટકાવ માટે મશીન ખર્ચ, જમીન કઠણ હોવાથી ખેડવા માટે ટ્રેક્ટરનો ભાડા ખર્ચ, પાણીની વધારે જરૂરીયાત, અળસિયાનું મૃતપ્રાય થવું, રસાયણ વાળા પાકનું ઉત્પાદન થવું કે જે, રસાયણ આપણા શરીરમાં ખોરાક થકી જ પ્રવેશે છે જે લાંબા ગાળે ગંભીર રોગ બનીને આપણને કમજોર કરી નાખે છે. જે નાની ઉમરે જ ગંભીર રોગો થવા માટેનું મૂળ કારણ છે. રસાયણ પદ્ધતિની નકારાત્મકતા ઘણી છે જે મોટેભાગે પર્યાવરણ, વાતાવરણ, મનુષ્ય, પશુ-પક્ષીઓ, પાણી, જમીન તેમજ પાકને મહત્તમ નુકસાન કરે છે.
રાજુભાઈ કહે છે કે, મારી પાસે ૨ એકર જમીન અને ૨ દેશી ગાયો છે. મારી પાસે લોકો સામે ચાલીને શાકભાજી અને અનાજ-પાણી લેવા માટે આવે છે, હોટેલો અને દુકાનદારો પણ અહી અગાઉથી બાંધેલા છે. જેથી એટલું તો માનવું રહ્યું કે, લોકો હવે પ્રાકૃતિક ખેતી થકી પકવેલ પાકની માંગ કરી રહ્યા છે.
રાજુભાઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરવા માટે આત્મા પ્રોજેક્ટ તરફથી મોડેલ ફાર્મ માટે રૂ. ૧૩,૫૦૦ , જીવામૃત-બીજામૃત બનાવવા ડ્રમ લાવવા માટે સખી મંડળમાંથી રૂ. ૬૦,૦૦૦ કે જે સરકાર તરફથી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દર મહીને ગાય નિભાવ ખર્ચ તરીકે મહીને ૯૦૦ રૂ. લેખે દર ૬ મહીને રૂ. ૫,૪૦૦ ની આર્થિક સહાય આપવામાં આવે છે.
દાહોદવાસીઓનો મૂળ વ્યવસાય ખેતી છે. પોતાની જમીનો હોવા છતાં વર્ષોથી રાસાયણિક પદ્ધતિના કરવાના કારણે જમીનો નિર્જીવ થઇ જવાથી પાક સારો મળતો નથી, જેથી તેનો ભાવ ન પોસાતા આર્થિક રીતે નબળી સ્થિતિ ઊભી થતાં તેઓ કમાણી માટે અન્ય જિલ્લાઓમાં મજૂરી કામ અર્થે નીકળી પડે છે, પણ જો તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવે તો તેમની જમીન ફરીથી જીવંત થશે. બસ શરૂઆતમાં એકાદ બે વર્ષ સુધી ધીરજ સાથે સતત મહેનત અને માવજતની જરૂર છે. રાજુભાઈએ કહ્યું તેમ પ્રાકૃતિક ખેતી કરવા માટે સરકાર આર્થિક સહાય પણ કરી રહી છે તો શા માટે પ્રાકૃતિક ખેતી ન અપનાવવી..!
૦૦૦