
#DahodLive#
દાહોદના મનરેગા કૌભાંડમાં પકડાયેલા ત્રણેય સરકારી કર્મચારીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ…
દાહોદ તા.07
દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં ગઈકાલે ધરપકડ કરાયેલા ત્રણ સરકારી કર્મચારીઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે સંદર્ભે કોર્ટે ત્રણેય સરકારી કર્મચારીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
દેવગઢ બારીયા તાલુકાના લવારીયા તેમાં ધાનપુરના ભાણપુર ગામે થયેલા કથિત મનરેગા કૌભાંડમાં ગઈકાલે બંને મંત્રી પુત્રો કિરણ અને બળવંત ખાબડના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તો બે દિવસ અગાઉ જ 71 કરોડના મનરેગા કૌભાંડની પહેલી ફરિયાદમાં જામીનમુક્ત થયેલા દેવગઢ બારીયાના એકાઉન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરી તેમજ ધાનપુરના એકાઉન્ટ આસિસ્ટન્ટ મહિપાલસિંહ ચૌહાણ તથા ધાનપુરના તત્કાલીન TDO અને ધરપકડ પહેલા જિલ્લા પંચાયતમાં મહેસૂલમાં ડેપ્યુટી DDO તરીકે ફરજાધિન રહેલા રસિક રાઠવાની વધુ બે ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત લવારીયા અને ભાણપુરના મનરેગાના કામો અંગે થયેલી બે જુદી જુદી ફરિયાદોમાં કુલ 42 લાખ ઉપરાંતના કૌભાંડમાં ધરપકડ કરી આજે 24 કલાક બાદ પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ત્રણેય સરકારી કર્મચારીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.