![મહીસાગર જિલ્લામાં “સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાઇ](https://dahodlive.com/wp-content/uploads/2024/06/IMG-20240621-WA0046-770x377.jpg)
મહીસાગર જિલ્લામાં “સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાઇ
પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
મહીસાગર જિલ્લામાં ૧.૩૮ લાખથી વધુ યોગ અભ્યાસુઓ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા
મહીસાગર તા. ૨૧
માનગઢ, કડાણા, કલેશ્વરી ડાયનાસૌર પાર્ક સહિતના આઈકોનીક સ્થળો સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિવિધ સ્થળો યોગમય બન્યા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” થકી રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકોનો તમામ સ્તરે વિકાસ થાય તે હેતુથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહીસાગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે જોડાયેલા યોગા અભ્યાસુઓને યોગ શિક્ષક દ્વારા કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ કરાવાયો હતો.
આ અવસરે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ યોગ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે , “યોગનું આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે”.યોગ માત્ર આપણા જીવનનો એક હિસ્સો નથી, આજે, તે જીવન જીવવાની રીત બની જાય તેવી યોગ દિવસે પ્રેરણા સૌને લેવા અપીલ કરી હતી
આ અવસરે સાંસદે જણાવ્યુ હતું કે યોગ દ્વારા લોકોનો માનસિક અને શારીરીક સ્વાસ્થય સાથે સંપુર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે. યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે. આ મહામૂલી ભેટને વિશ્વ ફલક પર નામના સાથે આજે વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે દુનિયાના લોકો યોગ અપનાવવાથી તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે યોગ એ ભારતની વૈદિક સંસ્કૃતિ છે. ઋષિ-મુનિઓએ શોધેલો યોગ ભારતે વિશ્વને આપેલી વિરાસત છે. પ્રાચીન સમયમાં યોગના કારણે લોકોના મન-શરીર-આત્મા તંદુરસ્ત રહેતા હતા. ઋષિ-મુનિઓની સાધના પદ્ધતિના લીધે અનેક લાભ કરાવતા આ યોગની આપણને વિરાસત મળી, પરંતુ યોગને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરવાનું કામ એનો બહોળો પ્રચાર કરવાનું કામ અને તેની આંતરાષ્ટ્રીય માન્યતા અપાવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.
આ પ્રસંગે નડાબેટ ખાતેના મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ પ્રધાનમંત્રીશ્રીના પ્રેરણાદાયી ઉદ્બોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીમતી નેહાકુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિધ્ધાર્થ, અધિક નિવાસી કલેકટરશ્રી સી વી લટા, પ્રાંત અધિકારીશ્રી સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, યોગ અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મહીસાગર જિલ્લામાં માનગઢ રાઠડા બેટ, કલેશ્વરી, વાવકૂવા, રૈયોલી સહિત આઈકોનીક સ્થળો ઉપરાંત વિવિધ સ્થળોએ ૧.૩૮ લાખથી વધુ યોગ અભ્યાસુઓએ જોડાઈને યોગ દિવસની ઉજવણી કરી હતી.