જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસ- ૨૪ માર્ચને અનુસંધાને ટીબી મુકત પંચાયતની બેઠક યોજાઈ

Editor Dahod Live
2 Min Read

જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસ- ૨૪ માર્ચને અનુસંધાને ટીબી મુકત પંચાયતની બેઠક યોજાઈ

૧૯ ગામોને ક્ષય મુક્ત જાહેર કરવાં એ નાનીસુની વાત નથી. આપણા જિલ્લા માટે ગૌરવની વાત છે – કલેકટરશ્રી યોગેશ નિરગુડે

દાહોદ તા. ૧૨

: જિલ્લા સેવા સદન સરદાર પટેલ સભાખંડ દાહોદ ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બેઠક યોજવામાં આવી હતી. સેન્ટ્રલ ટીબી ડિવિઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હી અને પંચાયતી રાજ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ટીબી મુક્ત પંચાયત – ૨૦૨૩ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ક્ષયના રોગની નાબુદી માટે કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો. તે સંદર્ભે દાહોદ જિલ્લાના કુલ ૧૯ ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવતાં જે – તે ગામના સરપંચશ્રીઓ માટે તેમજ દાહોદ જિલ્લા માટે ગૌરવની વાત છે.આ દરેક ગામોમાં ટીબી દર્દીઓની નિયમિત સારવાર સાથે આપવામાં આવતી દવાઓની અસરકારકતા, નિક્ષય પોષણ યોજના દ્વારા આપવામાં આવતા લાભ, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર દ્વારા ન્યુટ્રીશીયન સપોર્ટ જેવા મહત્વની બાબતો અંગેની સમયસર જાણકારી, તપાસ સહિત નિરીક્ષણ કરવા માટે વેરિફિકેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી.

   આ બેઠક દરમ્યાન દાહોદ જિલ્લાના દે.બારિયા તાલુકામાંથી ગામડી, ડભવા, સાતકુંડા, છાસીયા સાદડીયા, ઝાબીયા, રાતડીયા, મેગા મુવાડી, ટીમરવા, ધાનપુર તાલુકામાંથી બિલિયા, અંધારપુરા, ગુમલી, ફતેપુરા તાલુકામાંથી મોટી ચરોલી, ફતેગડી, પાડલીયા, આમલીખેડા, સલિયાટા નીનકા, ગરબાડા તાલુકામાંથી ભીલોઇ, દાદુર તેમજ લીમખેડા તાલુકામાંથી નાની વાસવાણી મળીને આમ, કુલ આ તમામ ૧૯ ગ્રામ પંચાયતોને કલેકટરશ્રીના વરદ હસ્તે પંચાયતના સરપંચશ્રીને ટીબી મુકત પંચાયતનું પ્રમાણપત્ર અને ગાંધીજીની બ્રોન્ઝ પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યા હતા. 

         આ કાર્યક્રમ નિમિતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ક્ષય મુક્ત જાહેર થનાર ગામોના સરપંચશ્રીઓને અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે, આટલા ગામોને ક્ષય મુક્ત જાહેર થવા એ માટે દરેક સરપંચ અભિનંદનને પાત્ર છે. ૧૯ ગામોને ક્ષય મુક્ત જાહેર કરવાં એ કઈ નાનીસુની વાત નથી એ આપણા જિલ્લા માટે ગૌરવની વાત છે. 

      આ બેઠકમાં જિલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારી ડો. અમરસિંહ ચૌહાણ, આરોગ્ય સ્ટાફ તેમજ દેવગઢબારીયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા સહિતના તાલુકાઓના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા.

૦૦૦

Share This Article