દેવગઢ બારીયાના સાગટાળા ગામે ડમ્ફરની ટક્કરે ઈજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકનું 18 દિવસની સારવારના અંતે મોત…
18 દિવસની સારવાર બાદ કનુભાઈ રાઠવા જીંદગીનો જંગ હારી જતા પરિવારજનોમાં માતમ છવાયો.
દે.બારીયા તા.08
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા ગામે ડમ્ફરના ચાલકે મોટરસાઈકલને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થતાં મોટરસાઈકલના ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ગત તા.22મી ડિસેમ્બર 2023ના રોજ સાગટાળા ગામે ડમ્ફરના ચાલકે પોતાના કબજાનું ડમ્ફર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો, તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ કનુભાઈ ગોપાલભાઈ રાઠવા (રહે. ફાંગીયા, પુંજારા ફળિયા, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ)ની મોટરસાઈકલને ડમ્ફરના ચાલકે અડફેટમાં લેતાં કનુભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં. જેને પગલે તેઓને હાથે, પગે, શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન ગતરોજ 18 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે દેવગઢ બારીઆ તાલુકાના ફાંગીયા ગામે પુંજારા ફળિયામાં રહેતાં અરવિંદભાઈ ગોપાલભાઈ રાઠવાએ સાગટાલા પોલીસ મથકે માટે ગુનો દાખલ કરાવ્યો હોવાનું સામે આવ્યું છે.