ધાનપુરમાં જંગલ રાજ..??દે. બારીયા તાલુકાના ડભવામાં જંગલની જમીન ખેડતા રોકવા જતા વન કર્મીઓ ઉપર ટોળાનો હુમલો, ૧૦ હજારની લૂંટ…

Editor Dahod Live
3 Min Read

ધાનપુરમાં જંગલરાજ..??દે. બારીયા તાલુકાના ડભવામાં જંગલની જમીન ખેડતા રોકવા જતા વન કર્મીઓ ઉપર ટોળાનો હુમલો, ૧૦ હજારની લૂંટ…

૧૫ ઈસમોના સશસ્ત્ર ટોળાએ જંગલ ખાતાના અધિકારીઓ પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો:ટોળા દ્વારા એક અધિકારીનો અપહરણનો પ્રયાસ

દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડભવા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ડભવા ગામે આવેલ સરકારી જંગલની જમીનમાં સાફ સફાઈ તેમજ ખેડાણ કરતાં મહિલા સહિત ૧૫ ઈસમોના શસ્ત્રધારી ટોળાને જંગલ ખાતાના અધિકારીઓએ રોકવા જતાં ટોળાએ જંગલ ખાતાના અધિકારીઓ ઉપર પથ્થર મારો સહિત હથિયારો વડે જીવલેણ હુમલો કરી તેમજ રૂા. ૧૦,૦૦૦ના મુદ્દામાલની લુંટ ચલાવી એક અધિકારીનું અપહરણ કરવાની કોશિષ કરી તેમજ જંગલ ખાતા અધિકારીઓની ગાડીઓની તોડફોડ કરી એક મહિલાને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ટોળાએ ભારે ધિંગાણું મચાવી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ગત તા.૦૬ જુલાઈના રોજ ડભવા ગામે રહેતાં ગણપતભાઈ ચન્દ્રાભાઈ બારીઆ, જુવાનસિંહ ચન્દ્રાભાઈ બારીઆ, પીન્ટુભાઈ ગણપતભાઈ બારીઆ, જશુભાઈ ઉકારભાઈ બારીઆ, મનહરભાઈ બળવંતભાઈ બારીઆ, સંજયભાઈ મોહનસીંગ નાયક, સુનીલભાઈ જશુભાઈ બારીઆ, રમીલાબેન ચન્દ્રાભાઈ બારીઆ, કોકીલાબેન જુવાનસીંગ બારીઆ, સંગીતાબેન મોહનભાઈ નાયક, અપ્પીબેન છત્રાભાઈ બારીઆ, રીન્કુબેન જુવાનસીંગ બારીઆ તથા તેમની સાથે અન્ય બે – ત્રણ મહિલા સહિત ઈસમોના ટોળાએ પોતાની સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે હાથમાં ધારીયા, ગોફણો, લાકડીઓ તેમજ હાથમાં છુટ્ટા પથ્થરો લઈ મારક હથિયારો ધારણ કરી ડભવા ગામે આવેલ જંગલ ખાતાની સરકારી જમીનમાં સાફ સફાઈ તેમજ ખેડાણ કરવા જતાં હતાં તે સમયે આ અંગેની જાણ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વનરક્ષક કંજેટા રેન્જના અધિકારીઓને થતાં તેઓ સરકારી ગાડીઓ લઈ ઉપરોક્ત ઈસમો જંગલ ખાતાની જમીનમાં સાફ સફાઈ તેમજ ખેડાણ કરતાં હતાં તે સ્થળે પહોંચ્યાં હતાં ત્યાર જતાની સાથે ઉપરોક્ત ટોળાએ જંગલ ખાતાના અધિકારી સુરેશભાઈ ચીમનભાઈ બારીઆ તથા તેમના સ્ટાફે ઉપરોક્ત ઈસમોને રોકવા જતાં ઉપરોક્ત ઈસમોએ જંગલ ખાતાના અધિકારીઓને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો અહીં કેમ આવેલ છો, આજે તો તમો બધાને મારી નાંખવાના છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ અધિકારીઓ ઉપર હુમલો કરી પથ્થરો વડે, લાકડીઓ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી નંદુબેન નરસિંહ પારગીને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને સુરેશભાઈનો એક મોબાઈલ ફોન, પાકીટમાંથી રોકડા રૂપીયા ૭,૦૦૦ વિગેરે મળી કુલ રૂા. ૧૦,૦૦૦ના મુદ્દામાલની લુંટ ચલાવી હતી ત્યારે સુરેશભાઈને પકડી પાડી મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરવાની કોશિષ કરતાં અન્ય વન અધિકારીઓની ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી તેઓને જાેઈ ટોળાએ સરકારી ગાડીઓ ઉપર ભારે પથ્થર મારો કરી સરકારી ગાડીઓને નુકસાન પહોંચાડી સુરેશભાઈને સ્થળ પર છોડી મુકી ટોળાએ મારી નાંખવાની ધમકી આપી નાસી જતાં ભારે ધિંગાણાના પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ સંબંધે ધાનપુર તાલુકાના કંજેટા રેન્જ વન રક્ષક ખાતે ફરજ બજાવતાં સુરેશભાઈ ચીમનભાઈ બારીઆએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

———————-

Share This Article