રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ શહેરમાં ધોળા દિવસે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી 1.65 લાખની માલમત્તા પર હાથફેરો કરી થયા ફરાર..
પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધ્યો..
દાહોદ તા.01
દાહોદ શહેરના પંકજ સોસાયટીમાં ધોળે દાડે ચોરીના મક્કમ ઇરાદા સાથે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી 1.65 લાખના મુદ્દામાલ પણ હાથફેરો કરી નાસી છૂટયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ચાકલીયા રોડ પંકજ સોસાયટીમાં B/15 ના રહેવાસી કાળીદાસ મગનભાઈ પરમાર તારીખ 28.02.2022 ના રોજ કોઈ કારણોસર પોતાના મકાનને બંધ કરી બહારગામ ગયા હતા. તે સમયે બપોરના સુમારે ચોરીના ઈરાદે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાને ધક્કો મારી લોક તોડી ત્યારબાદ મકાનનો ઇન્ટરલોક તોડી મકાનમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી 1.65 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી નાસી છૂટયા હતા.
ઉપરોકત બનાવ સંદર્ભે ચાકલીયા રોડ પંકજ સોસાયટી ના રહેવાસી કાળીદાસ ભાઈ મગનભાઈ પરમારે દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા તત્વો વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.