બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભોજેલામા કડાણા થી દાહોદ જતી પાણીની એક્સપ્રેસ લાઇનમાં ભંગાણ સર્જાતા રવિ પાકને વ્યાપક નુકસાન.
ભોજેલામાં પાઇપલાઇનમાં લીકેજ થતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ઘઉં,ચણા જેવા રવિ પાકોની ખેતીને નુકસાન થતા ખેડુતો ને લાખોનું નુકશાન.
સુખસર,તા.07
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે ગુરૂવારના રોજ સવારમાં કડાણા થી દાહોદ જતી પાણીની એક્સપ્રેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ભોજેલા ગામે આસપાસના રવિ પાકોના ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યુ હોવાનું જાણવા મળે છે.આ બાબતે ભોજેલા ના સરપંચ દ્વારા લાગતા-વળગતા તંત્રને જાણ કરતા વહી જતા પાણીને બંધ કરવામાં આવેલ છે. પરંતુ જે ખેતીમાં પાણી ફરી વળ્યા છે તેવા રવિ સદંતર નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે.
જાણવા મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના ભોજેલા મ ગતરોજ સવારના કોઈક કારણોસર કડાણા થી દાહોદ જતી પાણીની એક્સપ્રેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસમાં આવેલા ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં પાણી ફરી વળ્યા હતા મોટાભાગના ખેતરો તરબોળ થઈ જતા તેમાં કરવામાં આવેલ ઘઉં ચણા તથા અન્ય રવિ પાકોમાં આ પાકો ડૂબી જતા પાકો નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોવાનું ખેડૂતો બળાપો કાઢતા હોવાનું જાણવા મળે છે જોકે આ વેડફાઈ ગયેલું પાણી રવિ પાકો ના ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યું હતું.અને ચોમાસામા અતિવૃષ્ટિથી થતાં નુકસાનથી પણ વધારે બદતર હાલત ખેતીને થવા પામેલ છે.ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો,ખાતર વાવેતર કરી 2 થી 3 પિયત આપ્યા બાદ રવિ સિઝનના પાકો નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોની હાલત કફોડી થાય તે સમજી શકાય તેવી બાબત છે.
હાલ ભોજેલામાં પાણીની પાઇપ લાઇનથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં રવી પાકોને નુકસાન થવા પામેલ છે. અને આ ખેતી નિષ્ફળ જાય તો ખેડૂતોને લાખો રૂપિયાનો ફટકો પડે તેમ છે.ત્યારે જે ખેડૂતોને પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા નુકસાન પહોંચવા પામ્યુ છે તેઓને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામેલ હોવાનું પણ જાણવા મળે છે.