દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત….દે.બારીયા તાલુકાના કાલે ડુંગરી ગામે ટ્રેક્ટરની અડફેટે મોટરસાયકલ ચાલક મોતને ભેટ્યો:અન્ય એક ઈજાગ્રસ્ત..

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૮

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે એક ટ્રેક્ટરના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બે પૈકી એકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે જ્યારે એકને પણ શરીરે ઈજાઓ થતાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત તા.૦૬ જુલાઈના રોજ દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામેથી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મેરપગામે ઝોળ ફળિયામાં રહેતાં અશ્વિનભાઈ પર્વતભાઈ પટેલ તથા તેમની સાથે વિપુલભાઈ શુક્રમભાઈ હરીજન એમ બંન્ને યુવકો પોતાના કબજાની એક મોટરસાઈકલ પર સવાર થઈ કાળીડુંગરી ગામેથી સાંજના સાતેક વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક ટ્રેક્ટર સાથે મોટરસાઈક ભટકાતાં ઉપરોક્ત બંન્ને યુવકો મોટરસાઈકલ પરથી નીચે જમીન પર ફંગોળાયાં હતાં અને જેને પગલે અશ્વિનભાઈ પર્વતભાઈ પટેલને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોેંચતાં તેઓની ૧૦૮ મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં અશ્વિનભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જ્યારે વિપુલભાઈને પણ શરીરે, હાથે, પગે ઈજાઓ પહોંચતાં તેઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સંબંધે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોરવા હડફ ગામે ઝોળ ફળિયામાં રહેતાં પર્વતભાઈ ભલજીભાઈ પટેલે આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————-

Share This Article