ફતેપુરા તાલુકાના વાંકાનેરગ્રામ પંચાયત સરપંચના પુત્રની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કૌભાંડમાં ધરપકડ..

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના વાંકાનેરગ્રામ પંચાયત સરપંચના પુત્રની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કૌભાંડમાં ધરપકડ !

 દાહોદ જિલ્લામાં પી.એમ કિસાન સન્માન નિધિ યોજનામાં બિન લાભાર્થીઓના ખોટા ખાતા ખોલી દીધા હતા.

દાહોદ એલ.સી.બી. પોલીસ દ્વારા અગાઉ ફતેપુરા તાલુકાના બે આરોપીની ધરપકડ કરી હતી.

 

( પ્રતિનિધિ ) સુખસર,તા.૭

 

ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં બિન લાભાર્થીઓને ખેડૂત ખાતેદાર બનાવી ખોટા ખાતા નંબર આપી ખાતા ખોલી ખેડૂતોને શીશામાં ઉતારી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.જેની ફરિયાદ થતાં દાહોદ જિલ્લા એલ.સી.બી પોલીસ દ્વારા વાંકાનેર ગામના સરપંચના પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

 

દેશના તમામ ખેડૂત ખાતેદારોને પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત રૂપિયા ૨૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. જેમાં દાહોદ જિલ્લામાં પણ નકલમાં સમાવિષ્ટ ખેડૂત ખાતેદારોને સહાય મળવાપાત્ર હતી.પરંતુ આ યોજનામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટી.એલ.ઇ ને જવાબદારી સોંપવામાં આવી હતી.જેઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખેડૂતો ના હોય તેવા લોકોના ખેડૂત ખાતેદાર બતાવી ખાતા ખોલી આપવામાં આવ્યા હતા.અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. જે બાબતે ફતેપુરા તાલુકાના બાબુભાઈ સોલંકીએ દૈનિક સમાચાર પત્રોમાં સમાચારો આપતા આ ઘટનાને લઇ રાજ્ય અને દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરાઇ હતી.જેમાં જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી સહીત બે આરોપીની ધરપકડ કરાઇ હતી.જ્યારે એલ.સી.બી દ્વારા તપાસ દરમિયાન અનેક તકવાદી ઓના નામો બહાર આવ્યા હતા. જેમાં અગાઉ બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતા. અને તેઓની પૂછપરછ દરમિયાન અનેક નામો ખુલવા પામ્યા હતા.તેમાં ફતેપુરા તાલુકાના વાંકાનેર ગામના સરપંચ ભરત કટારાના પુત્ર અનિલ કટારાનું નામ પણ ખૂલ્યું હતું. જેની ધરપકડ કરવામાં આવી છે. અને આ અનિલ કટારા નામનો ઇસમ સંજેલી તાલુકા પંચાયતમાં ટી.એલ.ઈ તરીકે ફરજ બજાવતો હતો. પોતાની ફરજ નો દુરુપયોગ કરી આપીશ ને સરકારી આઈડી ખરીદ કરી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા.

અહીંયા નોંધનીય બાબત છે કે, ફતેપુરા તાલુકામાં કિસાન સન્માન નિધિ યોજના માટે જે-જે સાચા ખેડૂતોએ પોતાના મળવાપાત્ર લાભો માટે ખાનગી કોમ્પ્યુટર સંચાલકો પાસે જઇ પોતાના આધાર કાર્ડ,બેંકનો ખાતા નંબર વિગેરે આપ્યા છે તેમાંથી અનેક સાચા ખેડૂતોના નામે ઓનલાઇન થયેલ છે. પરંતુ આ ખેડૂતોને નાણાં મળતા નથી.ખેડૂતોના આધાર કાર્ડના નામે આવા લેભાગુ તત્ત્વોએ પોતાના બેંક ખાતા નંબર આપી આ નાણા તેઓ પોતે મેળવી રહ્યા છે.ત્યારે તપાસમાં એ પણ બહાર આવવું જરૂરી છે કે,જ્યારે-જ્યારે ખેડૂતોને સન્માન નિધિ યોજના હેઠળ નાણા મોકલવામાં આવે છે ત્યારે કયા ખાતામાં કેટલા નાણાં જમા થયા છે.તેની તટસ્થ તપાસ થવી જોઇએ અને તેની તપાસ થાય તો હજી પણ અનેક છુપા રુસ્તમો બહાર આવી શકે.તેમજ પ્રજા તથા સરકાર સાથે કરવામાં આવેલ છેતરપિંડીનો પર્દાફાશ થઇ શકે તેમ છે. અને તેવી તપાસ થાય છે કે કેમ તે આવનારો સમય જ બતાવશે.

Share This Article