
નીલ ડોડીયાર @ દાહોદ, હિતેશ કલાલ @ સુખસર
ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામના ૨૩ વર્ષીય યુવાનની પ્રેમપ્રકરણમાં તેના જ બે મિત્રો દ્વારા હત્યા કરી લાશ કૂવામાં નાખતા ચકચાર, મૃતકના સ્વજનોએ પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો,તંગદિલી વધતા સુખસરના બજારો ટપોટપ બંધ, પોલીસને હળવો બળપ્રયોગ કરી ટોળાંને વેરવિખેર કરવાની ફરજ પડી, મૃતક યુવકનું ગળું દબાવી મોતની નિપજાવી લાશને કૂવામાં નાખી હોવાનું ઘસ્ફોટક,બન્ને મિત્રોની અટકાયત બાદ પુછપરછ દરમિયાન હત્યાની કબૂલાત કરતા પોલીસે કરી ધરપકડ,
દાહોદ/સુખસર તા.૧૨
ફતેપુરા તાલુકાના સુખસર હદ વિસ્તારમાં સમયાંતરે હત્યા કરી લાશને કૂવામાં નાખવાના બનાવો બની રહ્યા છે.વર્ષ ૨૦૧૧ હાલ સુધીમાં ૪૮ જેટલી લાશો કુવાઓ માથી તેમજ બિનવારસી હાલતમાં મળી આવેલ છે. જેમાં વધુ એક બનાવ ગત રોજ સાડા ચાર વાગ્યાના અરસામાં એક ૨૩ વર્ષીય યુવાનને ગળુ દબાવી,મોત નિપજાવી કૂવામાં નાખી દેવામાં આવેલ હોવાનું બહાર આવવા પામ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ડામોર ફળિયા ખાતે રહેતા નાનાબોરીદા માજી સરપંચ અને હાલ ખેતીવાડી સાથે સંકળાયેલા વિકલાભાઈ લાલાભાઈ ડામોરનાઓને સંતાનમાં ચાર પુત્રો તથા એક પુત્રી છે.જેમાં ત્રીજા નંબરનો પુત્ર નામે કલ્પેશભાઈ વિકલાભાઇ ડામોર ઉ.વ.૨૩ હતો.જે ગતરોજ સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાના મિત્રો સાથે ભેગો હતો.તે દરમિયાન સાંજના સાડા ચાર પોણા પાંચ વાગ્યાના અરસામાં તેના ઘરથી પૂર્વ તરફથી દોડો કોઈ કૂવામાં પડી ગયેલ છે.તેવી બૂમ સંભળાતા તેની સાથે સાથે મણીબેન ડામોરના એ બૂમ પાડી કે કોઈ છોકરો કુવામાં પડી ગયો છે.તેમ જણાવતા વિકલાભાઈ તથા તેમના પત્ની સમુડીબેન તેમજ ફળિયાના અન્ય લોકો કૂવા તરફ જતા મૃતક કલ્પેશના બે મિત્રો હાજર હતા.જેમાં હરીશભાઇ સામાભાઈ બામણીયા રહે. મોટાનટવા તથા બીજો રાકેશભાઈ મખાભાઈ બામણીયા રહે. ઘાણીખુટ નાઓ હાજર હતા. જ્યારે કૂવામાં શોધખોળ કરતા કલ્પેશભાઈ ડામોર બેભાન હાલતમાં મળી આવેલો હતો.જેથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.ફરજ ઉપરના તબીબે કલ્પેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતકના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં કલ્પેશના મોતનું ચોક્કસ કારણ જાણવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાહેરાત આપવામાં આવી હતી. ત્યાર બાદ આજરોજ સુખસર સરકારી દવાખાનામાં લાશનું પી.એમ કરવામાં આવ્યું હતું.જેમાં ગળું દબાવી હત્યા કરી લાશને કૂવામાં નાખવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. બીજીબાજુ આક્ષેપો-પ્રતિઆક્ષેપો સાથે આજ રોજ મૃતકના વિફરેલા સ્વજનોએ પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો હતો.જેથી પોલીસ જવાનોને પોતાની સલામતી ખાતર પોલીસ સ્ટેશનની અંદર ઘુસી જવું પડ્યું હતું.ત્યારબાદ પોલીસ દ્વારા ટોળા ઉપર હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.ગરમાયેલ માહોલ જોઈ આસપાસના સ્થાનિકોએ પણ દુકાનો બંધ કરી દીધી હતી. ત્યારબાદ સ્થિતિમાં કાબુ આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
પ્રેમ પ્રકરણની અદાવત રાખી બન્ને મિત્રોએ ત્રીજા મિત્ર કલ્પેશનું ગળુ દબાવી હત્યા કરી હોવાનું ઘસ્ફોટક
ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામે 23 વર્ષીય કલ્પેશના મૃત્યુ અંગે પરિવારજનો દ્વારા તેમના જ મિત્રો મોટાનટવા ગામના હરીશભાઈ સામાભાઈ બામણીયા તેમજ ધાણીખુંટ ગામના રાકેશભાઈ માખાભાઈ બામણીયા દ્વારા કલ્પેશની હત્યા કરી હોવાના આક્ષેપ બાદ પોલીસે બન્ને મિત્રોની શકમંદમાં અટકાયત કરી ઘનિષ્ટ પૂછપરછ હાથ ધરતા બન્ને શકમંદોએ પ્રેમ પ્રકરણમાં અદાવત રાખી પોતાના જ મિત્ર કલ્પેશનું ગળુ દબાવી નિર્મમ હત્યા કરી હોવાનું ઘસ્ફોટક કરતા પોલીસે બન્ને યુવકો વિરુદ્ધ હત્યાનું ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વિફરેલા યુવકના પરિજનો દ્વારા પોલિસ મથક પર કર્યો પથ્થરમારો:પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી