Friday, 29/03/2024
Dark Mode

લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે : લોટરીમાં લાગેલા ઘરને પામવાની લ્હાયમાં યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા

લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે : લોટરીમાં લાગેલા ઘરને પામવાની લ્હાયમાં યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા

 જીગ્નેશ બારીયા @ દાહોદ/ કપિલ સાધુ @ સંજેલી 

લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે”તે ઉક્તિને સાર્થક કરતો અત્યંત ચર્ચાસ્પદ બનાવ સંજેલીમાં બન્યો, લોટરીમાં લાગેલા ઘરને પામવાની લ્હાયમાં લાખો રૂપિયા ગુમાવ્યા, લોભામણી સ્કીમમાં ફસાઈ સંજેલીના યુવકે પોતાની જમીન વેચી તેમજ શાહુકારોં પાસેથી વ્યાજે રૂપિયા લઇ ઠગાઈકરોના ખાતામાં લાખો રૂપિયા જમા કરાવ્યા.ઠગ ટોળકી દ્વારા મોકલેલા ચેકની બેંકમાં તપાસ કરવા જતા ભાંડો ફૂટ્યો, પોતે ઠગાઈ ગયો હોવાનું માલુમ પડતા યુવકને માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો. 

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીના અંતરીયાળ વિસ્તારના અત્યંત સામાન્ય પરિવારને ઈસમ લોટરીમાં ઘર મળતું હોવાની વાતે ઠગાઈનો ભોગ બન્યાના કિસ્સાએ પંથકમાં ચકચાર મચાવી મુક્યો છે.જમીનનો ટુકડો તથા સાહુકારને ત્યાંથી વ્યાજે લાવેલા આશરે પાંચ લાખ કરતાં પણ વધુના નાણાં આ ઈસમે ઠગાઈકારોના ખાતામાં ભરતા અને પોતે ઠગાયાનો અહેસાસ થતાં ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે.

આજના સોશીયલ નેટવર્કિંગ અને ઓનલાઈન બેન્કીંગ સહિત આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને ઉપભોગ થકી નોખી નોખી ઢભે લોકોને ઠગવાના કિસ્સાઓમાં અનેકગણો વધારો થવા પામ્યો છે ત્યારે આવા ઠગાઈકારોની નજર હવે નાના નાના ગામો તરફ વધુ ઝુકતી જોવા મળી રહી છે. સાઈબર ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડ માટે સતત જાગૃતતાના કાર્યક્રમો ઠેર ઠેર યોજાવા લાગ્યા છે. સરકાર પણ આ બાબતે સક્રિય થવા પામી છે, તેમ છતાં ઠગાઈકારોના સકંજામાં અચ્છા અચ્છા સપડાઈ જતાં જોવા મળે છે.ત્યારે આવી એક માયાજાળમાં દાહોદ જિલ્લાના સંજેલી ખાતેના અંતરીયાળ વિસ્તારનો રહીશ સપડાઈ જવા પામ્યો છે.મોબાઈલ ફોનમાં થયેલી વાતચીત અને દર્શાવાયેલ ફેક વિડીયોથી અભિભુત થયેલ ઈસમે ઘર મેળવવાની લ્હાયમાં આશરે પાંચ લાખ કરતાં પણ વધુની રકમ ઠગાઈકારોના ખાતામાં જમા કરાવી દીધા હોવાનું અને ત્યાર બાદ પોતે ઠગાઈ રહ્યો હોવાની અનુભુતિ થતાં તપાસ કરતાં તેઓ ઓન લાઈન ઠગાઈનો ભોગ બન્યા હોવાનુ બહાર આવતાં સામાન્ય આ ગરીબ માણસના પગ નીચેથી ધરતી ખસી જવા પામી છે ત્થા આ અંગે ન્યાયની આશામાં પોલીસ મથકે પોતાની સાથે બનેલી ઘટનાના પુરાવા સહિત તપાસ થવા અરજી આપતા ખુદ પોલીસતંત્ર પણ ઠગાઈકારોની અદ્‌ભુત કળાથી ચોંકી ઉઠ્યા છે ત્થા સમગ્ર બાબતે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ  છે.

“લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે” અને “ અતિ લોભ એ પાપનું મુળ” કહેવત આજે દાહોદ જિલ્લાના સંજેલી મુકામે સાર્થક થવા પામી છે. ઓનલાઈન ફ્રોડના કેસોમાં રાજ્યભરમાં વધારો જાવા મળી રહ્યો છે જ્યા જુઓ ત્યા ઓનલાઈન ફ્રોડના બનાવોમાં ભોળીભાળી પ્રજાને નિશાન બનાવી દેવામાં રહી આવી છે અને પૈસા, મિલ્કત કે ચીજવસ્તુઓની લાલચમાં લોકો ફ્રોડ વ્યક્તિઓના સકંજામાં આવી પોતાની મહેનતની કમાણીના પૈસા પણ ગુમાવી બેસતા હોય છે.આવો જ એક કિસ્સો દાહોદ જિલ્લાના સંજેલી મુકામે પ્રકાશમાં આવ્યો છે. સંજેલી મુકામે પાણી ફળિયામાં રહેતા યાસીનભાઈ આદમભાઈ શેખ નામક વ્યક્તિએ ગતરોજ સંજેલી પોલીસમાં આપેલ અરજીમાં જણાવ્યા અનુસાર, તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ વાગ્યાના આસપાસ એક અજાણ્યા વ્યક્તિનો ૯૨૩૦૬૪૮૯૯૩૪૩ અને ૯૮૯૮૧૬૫૯૬૦ ના નંબર પરથી ફોન આવ્યો હતો.અને યાસીનભાઈને જણાવેલ કે, તમારો નંબર સિલેક્ટ થયો છે અને તમારે ૨૫ લાખની લોટરી લાગી છે, તેમ જણાવી, તે મેળવવા માટે તમારે ૧૨,૫૦૦ રૂપીયા ભરવા પડશે.આમ, કહી યાસીનભાઈને ૫૯૧૨૦૧૦૦૦૦૨૫૩૧ નંબરનો બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો. આ અજાણ્યા વ્યક્તિઓની ડાહી ડાહી અને લોભામણી વાતોમાં હરખના ઘેલા થયેલા યાસીનભાઈએ સંજેલી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડા મુકામે દોડી ગયા હતા.અને રૂ.૧૨,૫૦૦ ઉપરોક્ત એકાઉન્ટ નંબરમાં જમા કરાવી દીધા હતા. તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ એટલે કે, બીજા દિવસે અજાણ્યા વ્યક્તિનો ઉપરોક્ત મોબાઈલ નંબરથી યાસીનભાઈના મોબાઈલ ફોન પર બપોરના સમયે ફરી ફોન આવ્યો હતો અને અજાણ્યા વ્યક્તિએ જણાવેલ કે, બીજા ટેક્સના રૂ.૮૦,૦૦૦ ભરવા પડશે અને આ પૈસા ભરવા માટે બીજા એક બેંક એકાઉન્ટ નંબર ૪૩૪૪૦૧૦૦૦૦૫૯૧૯ આપ્યો હતો અને તેમાં ભરી દેવા જણાવ્યુ હતુ. બીજી વખત પણ યાસીનભાઈ બરોડા બેંક ખાતે દોડી ગયા હતા અને ત્યા ઉપરોક્ત એકાઉન્ટ નંબરમાં રૂ.૮૦,૦૦૦ ભરી દીધા હતા. સમગ્ર સીલસીલો અહીં પુરો નથી થતો. આગળ તા.૧૯મી ફેબ્રુઆરી એટલે કે, ત્રીજા દિવસે ફરી અજાણ્યા વ્યક્તિ દ્વારા ૪૨૨૪૦૧૦૦૦૧૫૭૫૮ બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો અને તેમા રૂ.૧,૧૦,૦૦૦  ભરી દેવા જણાવ્યું હતુ. આ રકમ પણ યાસીનભાઈએ ઉપરોક્ત ખાતામાં નાંખી દીધી હતી.  આજ દિવસે થોડીવાર પછી અજાણ્યા વ્યક્તિનો ફરી ફોન આવ્યો અને યાસીનભાઈને જણાવ્યુ કે,  હજુ એક લાખ રૂપીયા ભરવાના રહેશે માટે આ રૂપીયા ભરવા માટે ૫૯૧૨૦૧૦૦૦૦૨૫૩૧ નંબરનો એકાઉન્ટ નંબર પણ મોકલ્યો અને યાસીનભાઈએ આ બેંક એકાઉન્ટ નંબરમાં ફરીવાર ૧ લાખ ભરી દીધા હતા. આટલા રૂપીયા ભરવા છતાં પણ ઓનલાઈન લુંટારૂ ફ્રોડ વ્યક્તિઓનો મન ભરાતા તા.૨૦મી ફેબ્રુઆરીના રોજ યાસીનભાઈ પર ફરી કોલ આવ્યો હતો અને તે દિવસે ૫૯૧૨૦૧૦૦૦૦૨૫૩ અને ૪૨૪૪૦૧૦૦૦૦૫૯૧૯ એમ બે એકાઉન્ટ નંબરમાં એક દિવસમાં અલગ અલગ સમયગાળા દરમ્યાન રૂ.૧,૫૦,૦૦૦ અને ૮૦, હજાર યાસીનભાઈએ લોભમાં આવી ભરી પણ દીધા હતા.

આ સમગ્ર કિસ્સા બાદ યાસીનભાઈ દ્વારા ફરીવાર જે તે કામ અર્થે રૂ.૮૦,૦૦૦, ૪૦,૦૦૦ તથા ૨૫,૦૦૦ નેટ બેંકીંગ મારફતે પણ આ નાણાં જે તે ફ્રોડ વ્યક્તિઓના એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કર્યા હતા.

આ બાદ ફ્રોડ કોલર દ્વારા યાસીનભાઈના મોબાઈલ ફોન ઉપર સામેથી ફ્રોડ ઓળખપત્ર, આધારકાર્ડ તેમજ લોટરીનો ૨૫ લાખનો ચેક બેંક ઓફ બરોડાના નામનો ફ્રોડ ચેક તેમજ લોટરીની પહોંચ પણ પણ મોકલી હતી. આ તમામ વસ્તુઓની યાસીનભાઈએ પ્રિન્ટ આઉટ કાઢી આ કાગળો લઈ સંજેલી બેંક ઓફ બરોડામાં તપાસ કરવા ગયા હતા. જ્યા આ લોટરીની ૨૫ લાખની રકમ જમા થઈ હોવાના ઉત્સાહ સાથે બેંકમાં જતાં જ બેંક દ્વારા આવી કોઈ રકમ તમારા ખાતામાં જમા નથી થઈ હોવાનો જવાબ મળતાં એકક્ષણે યાસીનભાઈના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી.

 આ અગાઉ આ ફ્રોડ કોલરો દ્વારા યાસીનભાઈને આ વિશે કોઈને પણ કશુ જણાવવાનું મનાઈ કરી હતી.પરંતુ યાસીનભાઈ દ્વારા આ બાબતે પોતાના નજીકના મિત્રો તેમજ પરિવારજનોને આ બાબતે વાત કરી ઉપરોક્ત તમામ બનાવ સંદર્ભેની વાતચીત કરતાં જાગૃત નાગરિકો દ્વારા યાસીનભાઈને જણાવાયું હતુ કે, તેઓ સાથે લોટરીના નામે છેતરપીંડી થઈ છે.

આ બનાવમાં બાદ યાસીનભાઈ શેખ દ્વારા સંજેલી પોલીસ મથકે આવી આ બાબતની લેખિત અરજી કરી હતી. પોલીસે પણ પ્રાથમીક તબક્કે તપાસનો ધમધમાટ શરૂ તો કર્યાે છે પરંતુ સમગ્ર પ્રકરણમાં આવા ફ્રોડ લુંટારૂઓનો શિકાર બનેલ યાસીનભાઈની હાલ  સ્થતી કફોડી બની રહેવા પામી છે. તેઓ આ લોટરીની લાલચમાં વ્યાજે પૈસા લાવી આ ફ્રોડ વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ભર્યા હતા તેમજ પોતાના મકાન અને જમીન વેચાણના પૈસા પણ ગુમાવ્યા છે.

error: Content is protected !!