માર્ગ અકસ્માતોનો સીલસીલો યથાવત:ફતેપુરા તાલુકાના ઘાણીખુટ હાઈવે માર્ગ ઉપર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું મોત, એક ઈજાગ્રસ્ત

Editor Dahod Live
3 Min Read

 બાબુ સોલંકી :- સુખસર 

  • દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વંણથભી વણઝાર
  • વાહનચાલકોની પૂરઝડપ તેમજ બેફિકરાઈ ભર્યા ડ્રાંઇવિંગના કારણે દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો 
  • ફતેપુરા તાલુકાના ઘાણીખુટ હાઈવે માર્ગ ઉપર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું મોત.
  •  લખણપુરના ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને ઝાલોદ,દાહોદ અને ત્યાંથી વડોદરા દવાખાનામાં સારવાર માટે ખસેડતા રસ્તામાંજ મોત નીપજ્યું.

 સુખસર,તા.૧૨

   ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં વાહન ચાલકોની બેદરકારીથી સમયાંતરે સર્જાતા વાહન અકસ્માતોમાં નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.જેમાં વધુ એક અકસ્માત મોતનો બનાવ ગતરોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં સુખસર થી મોટરસાયકલ ઉપર જઇ રહેલા લખણપુરના યુવાનને મકવાણાના વરુણા ગામના મોટરસાયકલ ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી લખણપુરના યુવાનની મોટર સાયકલ સાથે અકસ્માત સર્જતા ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. જેને ઝાલોદ,દાહોદ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.ગંભીર ઇજાગ્રસ્ત લખણપુરના યુવાનનું રસ્તામાં મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.

      જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખણપુર ગામના સ્ટેશન ફળિયા ખાતે રહેતા વિનોદભાઈ વાલાભાઈ ચારેલ ઉમર વર્ષ ૩૭ ખેતીવાડી તથા સુખસર ખાતે છૂટક વેપાર ધંધો કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા.જેઓ સુખસર ખાતે પોતાના વેપાર ધંધા માટે લખણપુર થી સુખસર અપડાઉન કરતા હતા.તેવી જ રીતે ગુરુવાર સાંજના આઠેક વાગ્યાના અરસામાં સુખસર ખાતે પોતાની દુકાન બંધ કરી લખણપુર ઘરે જવા નીકળ્યા હતા. તેવા સમયે સુખસર થી ઝાલોદ જતા હાઈવે માર્ગ ઉપર ઘાણીખુટ થી પોતાના કબજાની મોટરસાયકલ નંબર જીજે-૨૦. એસ-૧૩૯૫ ઉપર પસાર થઈ રહ્યા હતા.તેવા સમયે સામેથી મોટરસાયકલ નંબર જીજે-૨૦.પી-૧૫૬૨ ના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલને પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી ઘાણીખુટ બસ સ્ટેશન પાસે ધડાકાભેર અથડાવતા વિનોદ ભાઈ ચારેલ પોતાની મોટરસાયકલ ઉપર થી ઉછળી ડામર રસ્તા ઉપર પટકાયા હતા.જેથી વિનોદભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ ખાનગી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ગંભીર ઈજાઓના કારણે દાહોદ રીફર કરવાનું જણાવતા દાહોદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખાનગી વાહનમાં વડોદરા રીફર કરવામાં આવેલ હતા. વિનોદભાઈને સારવાર માટે વડોદરા લઈ જતા સમયે હાલોલ સુધી જતા પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.જેથી પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી હતી. અકસ્માત સર્જનાર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચવા પામી હોવાનું અને તે અક્ષર પાસેના મકવાણાના વરુણા ગામનો હોવાનું જાણવા મળે છે.

     ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક વિનોદભાઈના ભાઈ વિક્રમભાઈ વાલાભાઈ ચારેલે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અકસ્માત સર્જી પોતાના ભાઈનું મોત નિપજાવનાર આરોપી વિરુદ્ધમાં ફરિયાદ આપતા કાયદેસરનો ગુનો દાખલ કરી લાશનું સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share This Article