રાજય સરકાર રાજયના નાગરિકોની સુખ-સુવિધા અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્‍ધ છે :- મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર  

Editor Dahod Live
5 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

રાજય સરકાર નાગરિકોની સુખ-સુવિધા અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્‍ધ છે :- મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર  

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા. ર.૭૬ કરોડના ખર્ચે 

સંતરામપુર નગરપાલિકા દ્વારા નવનિર્મિત ટાઉનહોલનું મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરના હસ્‍તે લોકાર્પણ 

સંતરામપુર તા.29

રાજયના ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણ રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરએ મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળની સરકાર રાજયના તમામ નાગરિકોની સુખ-સુવિધા અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્‍ધ હોવાનું જણાવ્‍યું હતું. 

 

 

મહીસાગર જિલ્‍લાના સંતરામપુર ખાતે સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા. ર.૭૬ કરોડના ખર્ચે સંતરામપુર નગરપાલિકા દ્વારા નવનિર્મિત ટાઉનહોલનું લોકાર્પણ કરતાં રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરએ મહિલાઓ, બાળકો, ખેડૂતો, વંચિતો, પીડિતોના વિકાસ માટે સરકાર દ્વાર ખાસ વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવી રહયું છે તેમના જણાવી સમાજના તમામ વર્ગોના પરિવારોને વિકાસની મુખ્‍ય ધારામાં લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રતિબધ્‍ધતા સાકાર કરવામાં મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વમાં સરકાર અગ્રેસર રહી હોવાનું ઉમેર્યું હતું. 

 મંત્રી શ્રી ડીંડોરએ નગરપાલિકા દ્વારા નવનિર્મિત થયેલ આ ટાઉનહોલ નગરજનોને નાના-મોટા પ્રસંગો કરવા માટે કોઇ સગવડ ઉપલબ્‍ધ નહોતી તેને ધ્‍યાને રાખી નાના-મોટા પ્રસંગોએ લોકોપયોગી થઇ રહે તે રીતે તૈયાર કરવામાં આવ્‍યો છે ત્‍યારે નગરજનોને તેનો લાભ લેવાની સાથે તેની યોગ્‍ય જાળવણી થાય તે જોવા કહ્યું હતું.  

 ઉચ્‍ચ શિક્ષણ રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરએ સંતરામપુર નગરપાલિકામાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ વિકાસ કામોની ગાથા વર્ણવતા કહ્યું હતું કે, કેન્‍દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સંતરામપુર નગરપાલિકાના વિકાસ માટે પ્રધાનમંત્રી આવસ યોજના અંતર્ગત સંતરામપુર નગરમાં ૧૧૩૪ આવાસોના બાંધકામના કામો મંજુર થયેલ છે. જે પૈકી ૪૬૭ આવાસ પૂર્ણ થયેલ છે જયારે ૬૬૭ આવાસોનું કામ પ્રગતિમાં છે. જયારે આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને રૂ.૧૩.૧૨ કરોડનો લાભ મળેલ છે. જયારે સંતરામપુર નગરપાલિકા વિસ્‍તારોમાં જે વિકાસના કામો પૂરાં કરવામાં આવ્‍યા છે તેમા નગરના વિવિધ વિસ્તારોમાં એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટનું કામ, આર.સી.સી. તથા સી.સી. રસ્તાના કામો, સંતરામપુર નગરમાં રિલાયન્સ પેટ્રોલ પમ્પ થી બજાર ચોકડી સુધીનો ગૌરવપથને રીસરર્ફેસિંગના કામો, નિર્મળ ગુજરાત અંતર્ગત નગરમાં શૌચાલય વિહોણા કુટુંબોને વ્યક્તિગત શૌચાલય બનાવવાના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સંતરામપુર નગરમાં મકાન બાંધકામના કામો, સંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં આવેલ ગાર્ડનનો વિકાસ કરવાનું કામ, નગરપાલિકા હસ્તક કડાણા ઈન્ટેકવેલ ખાતે ફોલ્ડર પંપનું કામ, પ્રતાપપુરા હનુમાનજી મંદિર પાસે તેમજ કારગીલ પેટ્રોલપમ્પ મંદિર ખાતે ડેવલોપમેન્ટ અંગેના કામોનો સમાવેશ થાય છે. 

 દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વ હેઠળની કેન્‍દ્ર સરકાર અને મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળની રાજય સરકારે વિકાસનું પર્વ લોકો વચ્‍ચે જઇને ઊજવી તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીને ગુજરતને વિકાસની એક આગવી ઊંચાઇ પર લઇ ગયા છે. ગુજરાત આજે જનભાગીદારીથી વિકાસનું મોડેલ બન્‍યું છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આવતીકાલે કેન્‍દ્ર સરકારની વિવિધ લોકોપયોગી યોજનાઓના લાભાર્થીઓ સાથે સિમલા ખાતેથી વર્ચ્‍યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાનાર છે તેની જાણકારી આપી હતી. 

 શ્રી ભાભોરએ સંતરામપુરના નાગરિકોની સુખાકારી અને નગરના વિકાસ માટે ચાલી રહેલ વિવિધ વિકાસ કામો જેવાં કે, વિવિધ વિસ્તારોમાં ૧.૭૮ કરોડ ખર્ચે એલ.ઈ.ડી સ્ટ્રીટ લાઈટ, સ્મશાનના રીનોવેશનનું કામ, વિવિધ જગ્યાએ બોક્સ કલવર્ટ, સુરક્ષા દીવાલો, આર.સી.સી. રસ્તા અને પેવરબ્લોક લગાવવાના કામો, સંતરામપુર નગરમાંથી નીકળતા ગંદા પાણીના નિકાલ માટે રૂા. ૧૦ કરોડન ખર્ચે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યસ્થા બોર્ડ દ્વારા સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ, વિવિધ સર્કલો પાસે રૂા. ૧૮ લાખના ખર્ચે હાઈમાસ્ટ ટાવર લગાવવાનું, રૂા. બે કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શનનું કામ, રૂા. ૮૦ લાખના ખર્ચે મારુવાડા અને કડાણા ખાતે પેનલ રૂમો બનાવવાનું કામ, રૂા. ૧.૪૯ કરોડના ખર્ચે નગરના ઘન કચરાના નિકાલ માટે મોજે.નાના નટવા ગામે જમીન લેવલીંગ અને કમ્પાઉન્ડ દીવાલ બનાવવાનું કામ જેવા કામો હાલ પ્રગતિમાં છે જયારે આગામી સમયમાં નલ સે જલ યોજના, સોલીડ વેસ્‍ટ મેન્‍ટમેન્‍ટ પ્‍લાન્‍ટ, ફાયર સ્‍ટેશન, સોલર પ્રોજેકટ જેવા હાથ ધરવામાં આવનાર કામોની રૂપરેખા આપી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલએ ગુજરાતને વિકાસનો દોડમાં અવ્‍વલ બનાવ્‍યું હોવાનું જણાવ્‍યું હતું. 

 પ્રારંભમાં સંતરામપુર નગરપાલિકાના પ્રમુખશ્રીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું જયારે ચીફ ઓફિસરશ્રીએ આભારવિધિ કરી હતી. 

 આ પ્રસંગે જિલ્‍લા ભા.જ.પ. પ્રમુખ શ્રી દશરથભાઇ બારિયા, પૂર્વ ધારાસભ્‍ય શ્રી માનસિંહ ભમાત, ભાજપ મહામંત્રી શ્રી રાવજીભાઇ પટેલ, અગ્રણી શ્રી પટેલ, નગરપાલિકાના કાઉન્‍સિલરો, સમાજના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા. 

———————

Share This Article