
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખાના APO દ્વારા ભ્રષ્ટાચાર બાબતે મનરેગા કામદાર યુનિયન અને લાભાર્થી કામદારોની DDO ને રજૂઆત…
દાહોદ DDO એ તેઓના વ્યસ્ત શિડ્યુલ માંથી સમય ફાળવીને તમામ અરજદારોને સાંભળ્યા અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી*
ફતેપુરા તા.16
ફતેપુરા તાલુકામાં આવેલ 65 ગ્રામ પંચાયતોમાં મનરેગાના જુદા જુદા પ્રકારના કામો કરવા માટે લાભાર્થી કામદાર દ્વારા તાલુકા પંચાયત કચેરી ફતેપુરા ખાતે કામોના દસ્તાવેજી કાગળોની ફાઈલો કામો કરવા માટે જમા કરવામાં આવી હતી.
આ 6011 કામોના લાભાર્થીઓ પાસેથી તે વખતના ઇન્ચાર્જ એપીઓ બળવંત લબાના ભ્રષ્ટાચાર આચારીને જુદા જુદા કામોના ભાવો નક્કી કરી ચા પાણી માટે રૂપિયા 20 કરોડથી વધુની રકમ ઉઘરાવી હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી તેમજ ફતેપુરા તાલુકાના વાંગડ ગામના બુટેલા ફળિયાના ડામોર શંકરભાઈ રાવજીભાઈ તથા તેમના ગામના પાંચ લાભાર્થીઓ અને 61 જોબકાર્ડ ધારકો કામદારો દ્વારા પોતાના ગામે રોજગારી મેળવવા માટે કામોની માંગણીઓ કરતી અરજીઓ તાલુકા પંચાયત ફતેપુરા ખાતે રજૂ કરવા માં આવી હતી અને આ ગામના જુદા જુદા પ્રકારના કામો કરવા માટે લાભાર્થીઓના માલિકી સર્વે નંબર 61 સ્ટોન બંધ,સર્વે નંબર 183 સ્ટોન બંધ,સર્વે નંબર 69 અને સર્વે નંબર 125 ચેકવોલ તથા કેજીવી વિદ્યાલય વાંગડમાં પેવર બ્લોક અને MM રસ્તા ના કામો કરવા માટે આ લાભાર્થીઓ દ્વારા ગ્રામ પંચાયતના ઠરાવો તથા અન્ય દસ્તાવેજી કાગળોની ફાઈલો સાથે તાલુકા પંચાયત ફતેપુરા ખાતે મનરેગા શાખામાં છ માસ અગાઉ જુદા જુદા કામોના વર્કકોડ પડાવીને રજૂ કરેલ અને આ કામોની વહીવટી અને અન્ય કામગીરી અંગે ફતેપુરા તાલુકા પંચાયતનાં મનરેગા શાખાના ઇન્ચાર્જ APO એ ચા પાણીના નાણાંની માંગણીઓ કરતા ડામોર શંકરભાઈ રાવજીભાઈ પાસેથી જુદા જુદા ભાવે રૂપિયા 95000 લીધેલા તેવા આક્ષેપો સાથે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ હોવા છતાં આજ દિન સુધી આ ગરીબ કામદારોને રોજગારી મળેલ નથી.
આ તમામ બાબતો એ ફતેપુરા તાલુકા કામદાર યુનિયનના પ્રતિનિધિ મંડળ અને લાભાર્થી કામદારોએ વિગતવાર રજૂઆત સાથે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી ત્યારે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ તેઓના વ્યસ્ત શિડ્યુલ માંથી સમય ફાળવીને આ તમામ અરજદારોને સાંભળ્યા હતા અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
મનરેગા કામદાર યુનિયન દાહોદ જિલ્લા મંત્રી ભરતભાઈ ગજાભાઈ પારગી નો જવાબ
ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખાના ઇન્ચાર્જ એપીઓ બળવંત લવાના દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર બાબતે અમો મનરેગા કામદાર યુનિયન તથા લાભાર્થી કામદારોએ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. જિલ્લા વિકાસ અધિકારીએ તેઓના વ્યસ્ત શિડ્યુલ માંથી સમય ફાળવીને અમારી રજૂઆતો ને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.