રાજેશ વસાવે :- દાહોદ
*કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગરબાડાના ચાંદાવાડા ખાતે પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લીધી: ખેડૂતોને આપ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન*
*દાહોદ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે મંત્રીશ્રીએ કરી અપીલ*
દાહોદ તા. 20
દાહોદ જિલ્લાના ચાંદાવાડા ખાતે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની વિશેષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો શેર કરીને ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ દાહોદના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી ખાસ અપીલ કરી હતી.
દાહોદ તાલુકાના ચાંદાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી માનસિંહ ડામોરના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, “પ્રાકૃતિક ખેતીથી ન માત્ર લોકોનું આરોગ્ય સુધરે છે, પરંતુ તે પર્યાવરણ માટે પણ ખૂબ જ સાનુકૂળ છે. જેથી વર્તમાન સમયની માગને ધ્યાને રાખીને વધુમાં વધુ ખેડૂતો આ ખેતી પદ્ધતિ તરફ વળે તે અત્યંત જરૂરી છે.”
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ફાર્મ પર દેશી પદ્ધતિથી તૈયાર કરવામાં આવતા જીવામૃત અને ઘનામૃત જેવા જૈવિક ખાતરોના ઉત્પાદનની પ્રક્રિયાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ સાથે પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવેલા શેરડી, ટામેટા અને લીંબુ જેવા પાકોનું નિરીક્ષણ કરી સંતોષ અને ખુશી વ્યક્ત કરી હતી. આ તકે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તેની ટેકનિક વિશે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સાથે જ મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે મુલાકાત કરી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે, જિલ્લા બાગાયત અધિકારી શ્રી,એચ.બી.પારેખ, આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
