રાજેશ વસાવે :- દાહોદ
*કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે તુવેર પાકનો એક દિવસીય ફિલ્ડ ડે યોજાયો*
*તુવેરની ‘ગુજરાત તુવર-૧૦૯ (શ્વેતા)’ જાત અંગે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને પાક વ્યવસ્થાપનની માહિતી અપાઈ*File Edit View Insert Format Tools Table
દાહોદ ખાતે આવેલ આણંદ કૃષિ યુનિવર્સિટીનું કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ ખેડૂતોમાં કૃષિ સંશોધન અને નવીન કૃષિ પદ્ધતિઓના પ્રસાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
દાહોદ તા. 10
ગુજરાત રાજ્યમાં તુવેર એક મહત્વપૂર્ણ કઠોળ પાક છે. દાહોદ જિલ્લામાં તુવેરનું વાવેતર મુખ્યત્વે ચોમાસાની ઋતુ દરમિયાન બિનપિયત પરિસ્થિતિમાં કરવામાં આવે છે.

કઠોળ પાકના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના મિશન અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી તુવેરની સુધારેલી જાત *‘ગુજરાત તુવર-૧૦૯ (શ્વેતા)’**નો ખેડૂતોમાં વ્યાપ વધે અને ખેડૂતો આ જાતની વિશેષતાઓ તથા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી માહિતગાર થાય તે હેતુથી તા. ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે તુવેર પાકનો એક દિવસીય ફિલ્ડ ડે યોજાયો હતો.

કાર્યક્રમમાં દાહોદ તાલુકાના આમ્બલી, મેનપુર, ધાનપુર, સીંગાવલી, રીયાવણ અને રાછવા ગામના કુલ ૧૦૭ ખેડૂતોએ ઉપસ્થિત રહી તુવેરની વૈજ્ઞાનિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદના યુનિટ વડા તથા સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એચ. કે. પરમારએ ઉપસ્થિત ખેડૂતોનું સ્વાગત કરી તુવેર પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે કૃષિ સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એમ. એમ. પંડ્યાએ તુવેરની ‘ગુજરાત તુવર-૧૦૯ (શ્વેતા)’ જાતની લાક્ષણિકતાઓ અને વિશેષતાઓ અંગે ખેડૂતોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે માહિતી આપી હતી.

જ્યારે ઓનલાઈન માધ્યમથી જોડાયેલા કઠોળ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, વડોદરાના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. જે. એમ. વડોદરિયાએ કઠોળ પાકોની સુધારેલી અને નવીનતમ જાતો અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદના વૈજ્ઞાનિક (સસ્યવિજ્ઞાન) ડૉ. જી. એમ. વાઘેલાએ તુવેર પાકમાં પિયત તથા નીંદણ વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કૃષિ સંશોધન કેન્દ્રના ખેતી અધિકારી ડૉ. એસ. બી. પારગીએ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને સ્ટાફ દ્વારા ખેડૂતોને તુવેરની ‘ગુજરાત તુવર-૧૦૯ (શ્વેતા)’ જાતના પ્રદર્શન પ્લોટની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી. ખેડૂતો સાથે પાકની વિવિધ બાબતો અંગે ચર્ચા કરી તેમની ખેતીલક્ષી સમસ્યાઓ અને પ્રશ્નો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ફિલ્ડ ડેના માધ્યમથી ખેડૂતોને તુવેરની સુધારેલી જાત, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, પિયત-નીંદણ વ્યવસ્થાપન તેમજ પ્રાકૃતિક ખેતી અંગે ઉપયોગી અને વ્યવહારુ માહિતી પ્રાપ્ત થઈ હતી. અંતે શ્રીમતી એન. બી. હુંબલએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂતમિત્રો, વૈજ્ઞાનિકો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
000
