બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના મોટાબોરીદા ગામે સામૂહિક પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો*
*મકાનોની સાફ સફાઈ અને રોશની, રંગોળી અને કલરથી શણગારવા સહિત પોતાની જાતને શિક્ષણ,સંસ્કાર,સેવા,સમર્પણ, સહનશક્તિ,સુવિચાર જેવી બાબતોથી શણગારવા આહ્વાન કરાયું*
સુખસર,તા.22 
ફતેપુરા તાલુકાના મોટાબોરીદા ગામે દિવાળી મળવા માટે અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું હતુ. દિવાળી મળવા માટે બધા એકબીજાને ઘરે જાય છે,જેમાં સમય ખૂબ જ વધારે બગડે છે આખો દિવસ પુરો થઈ જાય છે.જેથી ગ્રામજનો સાથે મળીને સામૂહિક પરિવહન મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જો સામુહિક રીતે એક જગ્યાએ બધા સાથે મળે તો ઓછા સમયમાં બધાની સાથે મળી શકાય છે.નવા વર્ષ માટે આયોજન પણ કરી શકાય છે.જેના ભાગરૂપે બોરીદા ગામના આગેવાનો એ સવારના 9 થી 11 બે કલાક માટે માતાજીના મંદિરે મળવાનું આયોજન કર્યું હતું.જેમાં 80 જેટલા પરિવારો માંથી ભાઈઓ હાજર રહ્યા હતા.બધાએ એકબીજા સાથે દિલથી, મનથી મળ્યા,વડીલોને પગે લાગ્યા, યુવાનને ભણી ગણી આગળ વધે, સમાજને ઉપયોગી બને તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.સાથે જ ગામના આગેવાનોએ ગામના વિકાસ માટે,સમાજના વિકાસ માટે શું કરી શકાય?તેના માટે પોતપોતાના અભિપ્રાયો આપ્યા હતા.બધાએ સાથે મળી અને સમયનો સદ્ઉપયોગ કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતુ.તથા મહિનામાં એક દિવસ સમાજ માટે મળવાનું આયોજન કર્યું હતું.યુવાનોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં શંકરભાઈ કટારા વિશેષ ઉપસ્થિત રહીને દિવાળીના તહેવારનું મહત્વ,દિવાળી કેમ ઉજવવામાં આવે છે?આપણે કેવી રીતે ઉજવણી કરવી જોઈએ?જેવી બાબતોની માહિતી આપી હતી.જેમ આપણે ઘરની સાફ-સફાઈ કરીએ છીએ પરંતુ આપણી અંદર રહેલી ગંદકીની સફાઈ કરતા નથી.જ્યાં સુધી આપણા અંદરની ગંદકી કચરાને સાફ ના કરીએ ત્યાં સુધી આપનો વિકાસ શક્ય નથી.તથા આપણા ઘરોને રોશની, રંગોળી અને કલરથી શણગારીએ છીએ તેવી જ રીતે જાતને પણ શિક્ષણ,સંસ્કાર,સેવા,સમર્પણ, સહનશક્તિ,સુવિચાર જેવી બાબતોથી શણગારવા માટે આહવાન કરવામાં આવ્યું હતુ.તથા નવા વર્ષના સંકલ્પોમાં બધાને ફરજિયાત એક વ્યસન છોડીને તેમાંથી રોજની 10 રૂપિયાની બચત થાય છે મહિનાના 300 રૂપિયા બચત કરી પોસ્ટમાં પોતાનું ખાતું કરી અને પોતાના બાળકના શિક્ષણ માટે બચત કરવા માટેનું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું.સાથે જ વેકેશનમાં બાળકોને ફરજિયાત એક કલાક શિક્ષણ માટે બેસાડવા માટે દરેક વાલી અને બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યારબાદ સમુહ માં નાસ્તો કરી સૌ પરિવારજનો છૂટા પડ્યા હતા.આ મુજબ સામુહિક રીતે પરિવાર મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.