રાજેશ વસાવે :- દાહોદ
બોનોફાઇડ પરચેસરો માટે નીતિ બનાવવાનો ધમધમાટ પ્રારંભ..
દાહોદના બહુચર્ચીત નકલી NA પ્રકરણમાં 210 સર્વે નંબરોની ટીમો દ્વારા ફેર માપણી હાથ ધરાશે..
જિલ્લા બહારથી સર્વેયર બોલાવવામાં આવશે : 10 ટીમો બનાવીને કામગીરી હાથ ધરાશે…
દાહોદ તા.04
દાહોદ શહેર અને તેની આસપાસનાં ગામોમાં નકલી હુકમોના આધારે જમીન બિનખેતી કરવાના કૌભાંડમાં 210 સર્વે નંબરો મામલે જુદા-જુદા 9 ગુના દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ સર્વે નંબરોની તંત્ર દ્વારા ફરીથી માપણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોનોફાઇડ પરચેસરો માટે નીતિ બનાવવા માટે આ કામગીરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે. જોકે આ કામગીરી વેગવંતિ બનાવવા માટે જિલ્લા બહારથી સર્વેયરો બોલાવવામાં આવશે. સર્વે અને માપણીની આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેર અને તેની આસપાસના ગામોમાં જમીનો એનએ કરવાની પ્રોસીજરનો ભંગ કરવા સાથે નકલી હુકમોનો ઉપયોગ કરીને જમીન એનએ કરાવી સરકારને ભરવાપાત્ર પ્રિમીયમની રકમ નહીં ભરી છેતરપીંડી કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા જુદી-જુદી 9 જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી છે.અને તેમાં શામેલ સરકારી કર્મચારીઓ સહિત 80થી વધુ લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રકરણને કારણે બાંધકામની સાઇડો બંધ થઇ જતાં કડિયા,મજુરો સહિતનાં શ્રમિકોની રોજગારી છીનાવાઇ ગઇ છે.આવી જમીનો ઉપર ફ્લેટ કે ઘર લેનારા લોકોને વીજ મીટરો નથી મળી રહ્યા.આ સહિતની વિવિધ વિડંબનાઓને કારણે દાહોદ શહેરની ઇકોનોમીને ભારે ફટકો પડ્યો છે. આ પ્રકરણ શરૂ થયાને આઠ માસ જેટલો સમય થઇ ગયો છે. પોલીસની તપાસ હવે અંતિમ ચરણોમાં છે ત્યારે બોનોફાઇડ પરચેસરો માટે નીતિ બનાવવાની હિલચાલ હવે શરૂ કરવામાં આવી છે. ત્યારે આ માટે તંત્ર દ્વારા ખાલી જમીનો બાદ કર્યા સિવાયના તમામ સર્વે નંબરોનું ફરીથી સર્વે કરવા સાથે તેની માપણીની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ કામગીરી ઝડપી કરવા માટે જિલ્લા બહારથી સર્વેયરો બોલાવવામાં આવશે. આ માટે 10 ટીમો બનાવીને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યુ છે.
સર્વે પ્રોપર સર્વે અને માપણી કરાવાશે :- યોગેશ નિરગુડે, કલેક્ટર,દાહોદ
રેગ્યુલાઇઝેશન માટે પ્રોપર સર્વે અને માપણી કરવામાં આવનાર છે. જે કામ ઝડપથી પુર્ણ થાય તે માટે જિલ્લા બહારથી સર્વેયર બોલાવીને 10 ટીમો દ્વારા કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.
* 30થી 40 સર્વે નંબરોમાં કદાચ કોઇ પ્રિમિયમ નહીં ભરવુ પડે*
શંકાસ્પદ એનએ હુકમના આધારે જમીન બિનખેતી કરવા સાથે હેતુફેર, 73 એએનો બોજો ઉઠાવવા સહિતના કાવતરા તપાસ દરમિયાન સામે આવ્યા છે. ત્યારે તંત્રની કસરત બાદ 30થી 40 સર્વે નંબર એવા નિકળ્યા છે જેમાં કોઇ પ્રિમિયમ ભરવું નહીં પડે. જોકે, નકલી હુકમના આધારે દસ્તાવેજ થયા હોવાથી ગુનો તો ઉભો જ રહેશે તેવું જાણવા મળ્યુ છે. જોકે, તંત્ર દ્વારા હજી આ બાબતની કામગીરી ચાલી રહી હોવાથી પૂર્ણ વિગતો મળી શકી નથી.